*‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’:સુરત*
——-
*આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં કિરણ ચોક સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય ‘મહા આરતી’ યોજાઈ*
——–
*‘સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ’ના સંકલ્પ સાથે સ્થાનિક નાગરિકો, ભાવિક ભક્તજનો આરતીમાં જોડાયા*
——

સુરત:ગુરુવાર: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના સફળ અને યશસ્વી ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. આ ઐતિહાસિક પળની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં ૧૫૮-કામરેજ વિધાનસભામાં સમાવિષ્ટ કિરણ ચોક સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિમય માહોલમાં ‘મહાઆરતી’ યોજાઈ હતી.
મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રજ્વલિત કરી પૂજા અર્ચના સાથે વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ અને દેશની સતત પ્રગતિની કામના સાથે મહા આરતી કરી હતી. સ્વામિનારાયણ મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિતેલા ૧૨ વર્ષ ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ’ ને સમર્પિત રહ્યા છે. તેમના વિઝનરી નેતૃત્વ હેઠળ ભારતે વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ ઊભી કરી છે અને છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યો પહોંચ્યા છે. આ મહાઆરતી એ દેશના પ્રધાનસેવક પ્રત્યે જનતાના અતૂટ વિશ્વાસ અને કૃતજ્ઞતાનું પ્રતીક છે.
આ પ્રસંગે કામરેજ વિધાનસભા સંગઠનના તમામ હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, સ્થાનિક કોર્પોરેટરો, વિવિધ મોરચાના પ્રમુખો, યુવા મોરચા અને મહિલા મોરચાની ટીમ, કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦-