રાજપીપળા એપીએમસીની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ની ગેરહાજરીમાં પ્રમુખ નીલ રાવને સાંસદ મનસુખ વસાવાએ રીતસરના ધોઈ નાખ્યા
જિલ્લા પંચાયત માં ભાજપાની કરારી હાર માટે જિલ્લા પ્રમુખ અને મહામન્ત્રીઓને જવાબદાર ઠેરવ્યા
લોકોના અપપ્રચારનો ભાજપ જવાબ ન આપી શકયું એટલે જ ભાજપા હાર્યું: સાંસદ
નર્મદા જિલ્લામાં ભાજપાની થયેલ હારના મનોમંથન કાર્યક્રમનો એક વિડિઓ થયો વાયરલ
જેમાં મનસુખ વસાવા એ કહ્યું કે નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી કઠપૂતળી જેવો છે
નિલ રાવ કોઈપણ સીટ પર જીતાડવા માટે નીકળ્યા નથી
પ્રમુખ અને મહામંત્રી એસી ઓફીસ માં બેસી રહે તો કેવી રીતે તાલુકા અને જિલ્લા પંચાયત જીતવાના છે?
નીલ રાવની ચૈતર સાથે સાંઠગાંઠ હોઈ એવું મને લાગે છે
તમે કામ કરવા સક્ષમ ના હોઈ તો નીકળી જાવ જુના લોકો કામ કરવા સક્ષમ છે
ચૈતર એન્ડ કંપની સામે કાઉન્ટર કરવાની સક્ષમતા ના હોઈ તો પદ છોડી દો
મારુ સોશિયલ મીડિયા કાર્યાલય માં ચાલતું હતું તે નિલ રાવ એ બંધ કરી દીધું એની માનસિકતા તો જુઓ
રાજપીપલા તા 9
નર્મદામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો ભાજપ માટે આકરા આઘાત સમાન પુરવાર થયા છે . નર્મદા પાસે તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા હતી. પણ આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉલટા પરિણામો આવ્યા. તેમાં ભાજપે 1)નર્મદા જિલ્લા પંચાયત ગુમાવી,2-ગરુડેશ્વર તાલુકા પંચાયત,3-ડેડીયાપાડા તાલુકા પંચાયત,4-સાગબારા તાલુકા પંચાયત 5)ચીકદા તાલુકા પંચાયત ગુમાવી અને આપને ચરણે ધરી દીધી.એકી સાથે 4 તાલુકા પંચાયત અને મુખ્ય જિલ્લા પંચાયત ગુમાવી દેતા ભાજપને હજી કળ વળી નથી
ભાજપાના કાર્યકર્તાઓની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ છે. આટલી મોટી હાર કાર્યકર્તાઓ સ્વીકારવા તૈયાર નથી.ત્યારે તાજેતરમાં રાજપીપલા એપીએમસી ખાતે જિલ્લા પ્રમુખ નીલ રાવની ગેરહાજરીમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ અને પૂર્વ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ ની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓની હારના કારણો અંગે મનો મંથન કરવા મહત્વની મિટિંગ બોલાવી હતી. જેમાં મોટી સંખ્યામાં
કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.
જેમાં ભાજપની કરારી હારથી નારાજ સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ ની ગેરહાજરીમાં પ્રમુખ નીલ રાવને સાંસદ મનસુખ વસાવાએ રીતસરના ધોઈ નાખ્યા હતાં. અને જિલ્લા પંચાયતમાં ભાજપાની કરારી હાર માટે જિલ્લા પ્રમુખને જવાબદાર ઠેરવી જિલ્લા પ્રમુખ સામે સાંસદે આકરા પ્રહારો કરતા સભામાં સન્નાટો છવાઈ ગયો હતો.જોકે આ બેઠકમાં ભાજપાની આંતરિક જૂથબંધી, ખટરાગ સપાટી પર આવી હતી, એક સમયે એકબીજા સામે વિરોધ કરનારા નેતાઓ સાથે જોવા મળ્યા હતાં.ધારાસભ્ય અને સાંસદ એક મંચ પર એક થયેલા જોવા મળ્યા હતાં.
આ બેઠકમાં જિલ્લાભાજપ પ્રમુખ નીલ રાવને જ બોલાવવામાં જ ન આવ્યાં હતાં. સમગ્ર રાજયમાં એક માત્ર નર્મદાને બાદ કરતાં તમામ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે.રાજપીપળા સહિત આદિવાસી વિસ્તારમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર
વસાવાના વધી રહેલાં પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં આદિવાસી સમાજે ખોબલે
ખોબલે આમ આદમી પાર્ટીને મત આપ્યાં હતાં. સાંસદ મનસુખ વસાવા, નાંદોદના
ધારાસભ્ય દર્શન દેશમુખ સહિતના અગ્રણીઓએ એપીએમસી ખાતે બેઠક
બોલાવી હતી.સાંસદ મનસુખ વસાવાએ ભાજપની હાર પાછળ કેટલાક લોકોના
અપપ્રચાર ને કારણ ગણાવ્યો હતો.
સાંસદ મનસુખ વસાવાએ નીલ રાવ સામે ખુલ્લો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નીલ રાવ તાલુકા કે જિલ્લા પંચાયતના ભાજપાના ઉમેદવાર ને જીતાડવા ક્યારેય જાહેર સભા કરી નથી કે મહેનત નથી કરી. જિલ્લા પ્રમુખ ના ત્રણ ત્રણ મહામઁત્રીઓ પણ નિષ્ફળ ગયા છે..આ લોકો એસીમાં બેસીને ચાર પાંચ લોકો સાથે નીકળે તે કેમ ચાલે?
મહત્વના નિર્ણય લેવામાં મને પૂછવું જોઈતું હતું. પણ મને પણ પૂછ્યું નથી. મે પોતે કઈ કઈ બેઠક પર કોને ટિકિટ આપી શકાય તે જણાવ્યું હતું પણ મારું પણ સાંભળ્યું નથી.
મે કહ્યું હતું કે આ સીટ પર આજ ઉમેદવાર ચાલે પણ અમારું સાંભળ્યું નથી.
એમ કહી જિલ્લા પ્રમુખે સાંસદની પણ અવગણના કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે થોડાં વખત પહેલા આ બાબતે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી તેવાત અહીં સપાટી પર આવી ગઈ હતી.સાંસદે કહ્યું હતું કે નીલ રાવ કોઈપણ સીટ પર જીતાડવા માટે નીકળ્યા નથી. સવારે 9 વાગે ઉઠે ને પછી સીધા એસી કાર્યાલયમાં જતા રહેવાનું. અને ફોન પર બધું બ્રિફિંગ કર્યા કરવાનું.10 વાગ્યા સુધી સુઈ રહે.લોકોના પ્રશ્નો સાંભળવાના હોય છે વહેલા ઉઠી જવું જોઈએ. એ જિલ્લા મહામંત્રી ભોલો હોય કે જિલ્લા પ્રમુખ નિલ રાવ હોય.9 વાગે કે 10 વાગે ઉઠે એ રાક્ષસી વૃત્તિનો માણસ છે.અહીંયા બે રાક્ષસો છે એ ભોલો હોય કે નિલ હોઈ અને બીજા પણ કેટલા રાક્ષસો છે.પ્રમુખ અને મહામંત્રી એસી ઓફીસ માં બેસી રહે તો કેવી રીતે તાલુકા અને જિલ્લા પંચાયત જીતવાના છે? એમ જણાવી હારની દોષનો ટોપલો જિલ્લા પ્રમુખ અને મહામન્ત્રી તેમજ નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી પર ઢોળ્યો હતો. કાદચ એટલે સાંસદ એસી કમલમ કાર્યાલય મિટિંગ ન રાખતા સાદા પંખા વાળા સ્થળ એપીએમસી મિટિંગનું સ્થળ રાખ્યું હશે.
વધુમાં સાંસદે જિલ્લા પ્રમુખ પર વધુ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે આપણે આ લોકોના ભરોસે નથી રહેવાનું અને 2027 માટે મહેનત કરવાની છે.નવા લોકો ને ચાન્સ આપ્યો છે પણ તે લોકો ફેલ ગયા છે અમે પ્રદેશમાં આની રજુઆત કરવાના છે.
દારૂ જુગારના અડ્ડા ચલાવવા વાળા લોકોએ ભાજપ વિરુદ્ધ માં કામ કર્યું છે.નીલ રાવની પોલીસમાં વગ છે ત્યાં કેમ રેડ નથી પડાવતો?મારુ સોશિયલ મીડિયા કાર્યાલયમાં ચાલતું હતું તે નિલ રાવે બંધ કરી દીધું એની માનસિકતા તો જુઓ.
સોસીયલ મીડિયામાં પોતાની વાહવાહી કરવાની પણ કાર્યકરોમાં ચર્ચા જોવા મળી હતી.. જેમાં પાર્ટી મહાન નહીં પણ પોતે વ્યક્તિ મહાન હોય અને મોટા નેતાઓને પાછળ રાખી પોતાને વધુ હાઈલાઈટ કરતા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું.બીજી એવી પણ ચર્ચા વહેતી થઈ હતી કે જિલ્લા પ્રમુખ ધારાસભ્યને પણ ગાંઠતા નથી અને પોતાને જ ધારાસભ્ય સમજતા હોઈ જિલ્લા પ્રમુખ ખુદ પોતાને ધારાસભ્ય સમજતા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું.
જિલ્લામાં ખોટું બોલીને જે લોકો ઘુસી ગયા છે તેનું આ પરિણામ આવ્યું છે.
ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ હોય એવું મને લાગે છે એવો પણ આક્ષેપ સાંસદે કર્યો હતો
એ ઉપરાંત મનસુખ વસાવા એ કહ્યું હતું કે નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી કઠપૂતળી જેવો છે.એણે મને કહેવું જોઈએ કે આપણે જે સીટ પર નબળા છે તે સીટ પર તમારે જવાનું છે.
બીજું સોસીયલ મીડિયામાં આપ દ્વારા ભાજપા વિરુદ્ધ થયેલ અપ પ્રચારને કાઉન્ટર ન કરવા બદલ પણ પણ જિલ્લા પ્રમુખને હાર માટે જવાબદાર ઠેરવી તેમની રીતસરની શાબ્દિક ધોલાઈ કરી હતી. ભાજપાના વિકાસના કામો લઈને લોકો પાસે જવાનું હતું પણ ગયા નથી. જિલ્લા પ્રમુખે આપના નિવેદનને કાઉન્ટર પણ કર્યા નથી. મને તો એવું લાગે છે કે ચૈતર વસાવા સાથે એમની કોઇ સાંઠગાઠ તો નથી ને?
સાંસદ મનસુખભાઈ એવું પણ કહ્યું હતું કે પ્રજાના કામ કરવામાં તમે સક્ષમ ના હોય તો નીકળી જાઓ અમે પ્રદેશ રજૂઆત કરીશું. ક્યાં કઈ સીટ પર ક્યા કોને ટિકિટ આપવી એની એમને ખબર જ નથી! આવું કરે તો પછી પરિણામ આવું જ આવે ને! સાંસદ મનસુખભાઈ એ જિલ્લા પ્રમુખને સંભળાવી દીધું હતું કે કામ કરવામાં તમે દઈએ. ચૈતર આવા વસાવાને કાઉન્ટર કરવાની ક્ષમતાની ના હોય તો પદ છોડી દે એવી પણ ચીમકી આપી હતી. આવા લોકોના ભરોસે ચૂંટણી ના જીતાય. આવા લોકોના ભરોસો રહીએ તો આજે જે સ્થિતિ છે તેવી સ્થિતિ થઈ જાય.
સાંસદ મનસુખભાઈ જિલ્લા મહામંત્રી હિતેશ વસાવા સામે પણ આકરા પ્રહારો કર્યા હતા
સંજય વસાવાને જીતાડવા માટે કેમ કોઈ બહાર નીકળ્યું નહીં? તેમણે મહામંત્રી ની એસીમાં બેસીને કામ કરનારા મહામંત્રી ગણાવ્યા હતા.
આપણે આ લોકોના ભરોસે નથી રહેવાનું અને 2027 માટે મહેનત કરવાની છે.બે વર્ષ પછી આવનારી બે વિધાનસભા જીતી બતાવવાની તૈયારી બતાવી હતી. જોકે કેટલાક કાર્યકર્તાઓએ પણ જિલ્લા પ્રમુખના રાજીનામાંની માંગણી
કરી હતી અને ગત જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે જિલ્લા તાલુકા પંચાયત અને નગર પાલિકા જીતી બતાવનાર ઘનશ્યામ પટેલ ને ફરી જિલ્લા પ્રમુખ બનાવવાની માંગ કરી હતી અને નીલ રાવને હાર માટે નૈતિક જવાબદાર ગણી રાજીનામુ આપી દેવું જોઈએ એવી પણ માંગ થઈ હતી. હવે ભાજપાનો આંતરિક ખટરાગ ક્યાં જઇને પહોંચશે? એ તો હવે સમય જ બતાવશે.
,
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા