ભરૂચ સાંસદ મનસુખ વસાવા હસ્તે કરજણ બ્રીજના પુનઃ બાંધકામ કામગીરીનું ખાતમુહૂર્ત
રૂ. ૨૪.૨૫ કરોડનાં ખર્ચે અંકલેશ્વર-રાજપીપલા માર્ગ પર કરજણ બ્રીજ બનશે વધુ સુવિધાસભર
રાજપીપલા,તા 8
ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે અંકલેશ્વર-રાજપીપલા રોડ પર આવેલ કરજણ બ્રીજના રૂ. ૨૪.૨૫ કરોડનાં ખર્ચે થનારા પુનઃ બાંધકામ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતાં.આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર આવેલ કરજણ બ્રીજ વાહન વ્યવહાર માટે મહત્વપૂર્ણ કડી છે. વધતા ટ્રાફિક અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખી આ બ્રીજને વધુ બહોળો અને સુવિધાસભર બનાવવામાં આવશે, જેના કારણે પ્રવાસન તેમજ સ્થાનિક અવરજવર વધુ સરળ બનશે.
નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, આ બ્રીજના પુનઃ બાંધકામથી નાગરિકોને વધુ સારી ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ ઉપલબ્ધ થશે. ગુજરાત સરકારના નેતૃત્વમાં રાજ્યમાં વિકાસના વિવિધ કામો અવિરતપણે આગળ વધી રહ્યા છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસને પગલે માર્ગ, પ્રવાસન અને અન્ય માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા