નર્મદા જીલ્લો વિશ્વ પર્યાવરણ દિને
પર્યાવરણ જતન-જાગૃતિમાં પણ અગ્રેસર
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એકતા નર્સરી, આરોગ્ય વન, વિશ્વ વન, વેલી ઓફ ફ્લાવર, બટરફ્લાય ગાર્ડન અને કેકટસ ગાર્ડન ઔષધિય વન સાથે વિવિધ ફૂલ-છોડ-ઝાડની વિવિધ પ્રજાતિના સંરક્ષણ-રક્ષણ માટે પર્યાવરણીય મિસાલ બન્યા
રાજપીપલા,તા 4
તા.૫ મી જૂને વિશ્વ પર્યાવરણ દિને
નર્મદા જીલ્લો પર્યાવરણ જતન-જાગૃતિમાં પણ અગ્રેસર રહ્યો છે.
નર્મદા જિલ્લો પોતાની કુદરતી સમૃદ્ધિ, ઘટાટોપ જંગલો, પવિત્ર નર્મદા નદી અને ખીણ-ઝરણા પ્રાકૃતિક અને ઐતિહાસિક સ્થાનો માટે જાણીતો છે, ત્યાં પર્યાવરણ રક્ષણનો અવાજ વધુ મજબૂતાઈથી ધરતીનો ધબકાર બની સંભળાય છે. જિલ્લાની જૈવવૈવિધ્યતા, જીવનશૈલી અને પર્યાવરણના મધુર માનવ સંબંધોને કાયમ કરવા વધુ સચેત રહી પર્યાવરણની જાળવણી અને જતન સાથે હર હંમેશ રહેવાની જરૂર જણાય છે.
નર્મદા જિલ્લાની પર્યાવરણીય સમૃદ્ધિની વાત કરીએ તો શૂલપાણેશ્વર રીંછ અભ્યારણ્ય, જે દેડીયાપાડા અને સાગબારા તાલુકાના વિસ્તારોમાં આવેલું છે. આ અભ્યારણ્ય અનેક વનસ્પતિઓ અને વન્યજીવોનું નિવાસસ્થાન છે, જેમાં રીંછ, હરણ,દીપડા, વિવિધ પક્ષીઓ અને ઔષધીય વનસ્પતિઓની પ્રજાતિ જોવા મળે છે.
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા તરીકે પ્રસિદ્ધ સરદાર વલ્લ્ભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ વિકસાવવામાં આવેલી એકતા નગરી, સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક અને વન ઇન્ટરપ્રિટેશન ઝોન પણ પર્યાવરણ જાળવણી માટે પ્રવાસીઓમાં જાગૃતિનો સંદેશો આપી જાય છે. અહીં એકતા નર્સરી, આરોગ્ય વન, વિશ્વ વન, વેલી ઓફ ફ્લાવર, બટરફ્લાય ગાર્ડન અને કેકટસ ગાર્ડન જે ઔષધિય વન સાથે વિવિધ ફૂલ-છોડ-ઝાડની પ્રજાતિના રક્ષણ માટેની મિશાલ કાયમ બની રહ્યા છે.
નર્મદામા જંગલની નર્સરીઓ, સામાજિક વનીકરણ, મિયાવાકી ફોરેસ્ટ, વૃક્ષારોપણ, નદીની સાફ સફાઈની જાગૃતિની મુહિમ આશાનું કિરણ બની પર્યાવરણના જતન માટે સ્તુત્ય પગલું છે.
નર્મદા જિલ્લા કક્ષાએથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અભિયાનના ભાગરૂપે તા.૨૨મી જૂનથી જ એક પખવાડિયા માટે પ્રતિદિન અલગ અલગ સ્વરૂપે ઉજવણી કરવામાં આવી રહી છે.
એકતા નગર વિસ્તારમાં રીન્યુએબલ એનર્જી અને ઇકો-ટુરિઝમ માટેના પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે. સાથે અહીં પ્રદૂષણના નિયંત્રણ માટે માત્ર ઈલેક્ટ્રીક વાહનોનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખામાં આવે છે. પ્રવાસીઓ માટે ઈલેક્ટ્રીક બસ, ઈ-રિક્શા, વિવિધ આકર્ષણો ખાતે ગોલ્ફ કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સોલાર રૂફટોપ અને પી.એમ.કુસુમ યોજના પર્યાવરણની જાળવણીમાં મહત્વના પગલાં ગણી શકાય અ લોકોમાં પણ દિન પ્રતિદિન જાગૃતિ આવતી જાય છે.
તસવીર:દીપક જગતાપ, રાજપીપલા