નાણાં પંચના ચેરમેન યમલભાઇ વ્યાસની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

નાણાં પંચના ચેરમેન યમલભાઇ વ્યાસની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

ગુજરાત અને ભારતનું ભવિષ્ય શ્રેષ્ઠ હાથમાં છે,તેની આજે વધુ એક વખત પ્રતિતિ થઇ : યમલભાઇ વ્યાસ

રાજપીપલા, તાં 2

ગુજરાત રાજ્યના ચોથા નાણાં પંચના ચેરમેન યમલભાઈ વ્યાસે આજે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની ભાવપૂર્વક મુલાકાત લીધી હતી.

વ્યાસે પુષ્પાંજલિ અર્પણ કરી અને સરદાર સાહેબે એકતા, સંકલ્પશક્તિ અને રાષ્ટ્રનિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે સરદાર પટેલ ભારતની એકતા અને અખંડિતતાના પ્રતિક છે, અને સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની નવી પેઢીને પ્રેરણા આપતું પ્રતિકાત્મક સ્મારક છે.હૃદયસ્થળ વ્યૂઈંગ ગેલેરી પરથી સરદાર સાહેબના સ્વપ્ન સમાન સરદાર સરોવર નર્મદા ડેમ, વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાઓ વચ્ચે વહેતી માં નર્મદાનો નયનરમ્ય નજારો નિહાળી તેઓ મંત્રમુગ્ધ બન્યા હતા.

આ તકે યમલભાઈ વ્યાસે મુલાકાત પોથીમાં નોંધ્યુ હતું કે,અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની કલ્પનાને સિદ્ધ કરવા માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જે પુરૂષાર્થ કર્યો છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ સ્થળ છે.ગુજરાત અને ભારતનું ભવિષ્ય શ્રેષ્ઠ હાથમાં છે તેની આજે વધુ એક વખત પ્રતિતિ થઇ..

આ ઉપરાંત વ્યાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે-સાથે નર્મદા મહાઆરતીમાં સહભાગી થયા હતા, આ ઉપરાંત જંગલ સફારી,પેટ ઝોન,સરદાર સરોવર નર્મદા ડેમ અને કેકટ્સ ગાર્ડન તેમજ બટરફ્લાય ગાર્ડનની પણ મુલાકાત કરી હતી. આ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં P.R.O. રાહુલ પટેલ દ્વારા યમલભાઈ વ્યાસને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ કરવામાં આવી હતી.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા