નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામ પાસેનો ટકારાનો ધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો.

નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામ પાસેનો ટકારાનો ધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો.

કુદરતી ધોધનો નજારો માણવા પ્રવાસીઓ ઉમટ્યા

પીકનીક પોઇન્ટ તરીકે વિકસાવવાની પ્રવાસીઓની માંગ

રાજપીપલા:17


નર્મદા જિલ્લાને મીની કાશ્મીરનું બિરુદ આપવામાં આવ્યું છે. ખાસ કરીને ચોમાસામાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામ પાસેનો ટકારાનો ધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.કુદરતી ધોધનો નજારો માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે.

નર્મદા જિલ્લામાં ચોમાસા માં કુદરતી ઝરણાઓ અને નાના મોટા અનુપમ ધોધનું કુદરતી સૌંદર્ય ખાસ પ્રવાસીઓ ને આકર્ષે છે.
હાલ નર્મદામા લીલાછમ જંગલો, ડુંગરો,પહાડો ખળ ખળવહેતા ઝરણાઓ અને ધોધનું અનુપમ દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષે તેવું છે.

નર્મદાનો ઝરવાણી અને નિનાઈ ધોધ તો ખુબજ પ્રખ્યાત છે. પરંતુ અનુપમ સૌંદર્ય ધરાવતા અન્ય ધોધ પણ નર્મદામાં આવેલા છે.પરંતુ તે પ્રચલિત થયા નથી.ત્યારે જિલ્લાના આવાજ એક ધોધ પૈકીનો એક નયમરમ્ય ધોધ છે તે”ટકારાનો ધોધ છે. “.લોકવાયકા પ્રમાણે આ ધોધ રાજા રજવાડા સમયનો છે અને રજવાડા સમયે આ ધોધ ખુબજ ઊંચાઈ પરથી પડતો હતો અને જેને કારણે ખુબ મોટો અવાજ પણ આવતો હતો..અને આ ધોધને રાજાએ પથ્થરોને ટાંકીને બનાવડાવ્યો હતો તેથી ટકારાના ધોધ તરીકે ઓળખાય છે. આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામ પાસેનો ટકારાનો ધોધ હાલ ચોમાસામાં સોળે કળાએ પુરબહારમા ખીલી ઉઠ્યો છે.આ કુદરતી ધોધનો નજારો માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

રાજપીપળા નજીક આવેલ આમલેથાથી ત્રણ કિલોમીટર દૂર ખોજલવાસલા પાસે ઢોચકી તરફના વળાંકમાં જતા આ ટકારાના ધોધનું કુદરતી નયન રમ્ય દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે.

ખૂબ શાંત,સ્વચ્છ, સુંદર અને પ્રાકૃતિક જગ્યા છે. પ્રદુષણ મુક્ત આ જગ્યાએ અત્યારે ટકારાનો ધોધ ખળખળ વહી રહ્યો છે.જેને માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.લોકો સેલ્ફીની પણ મઝા માણી રહ્યા છે.
જોકે આ સુંદર પિકનિક પોઇન્ટને પ્રવાસન વિભાગ કે વન વિભાગ દ્વારા વિકસાવવાની જરૂર છે. હજી સુધી પ્રવાસન વિભાગ કે તંત્રનું આ તરફ ધ્યાન નથી ગયું પણ તંત્ર આનો વિકાસ કરે એવુ લોકો ઇચ્છી રહ્યા છે.

સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસન ધામો પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે ત્યારે આવા ઓછા બજેટમાં વિકસાવી શકાય એવા ટકારાના ધોધને વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ પિકનિક પોઇન્ટ તરીકે વિકસાવે એવું પ્રવાસીઓ ઇચ્છી રહ્યા છે.અહીંયા ધોધ સુધી જવાનો સારો રસ્તો નથી. નીચે ઉતરવા માટે પગથિયાં બનાવવાની પણ જરૂર છે.

તસવીર:દીપક જગતાપ, રાજપીપલા