ભાજપ નર્મદા જિલ્લા પ્રમુખ અને ચૈતર વસાવા મળેલા છે સાંસદનો ગંભીર આક્ષેપ

ડેડીયાપાડા ભાજપની સમીક્ષા બેઠકમાં સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ

પક્ષના જ સંગઠન સામે ગંભીર સવાલો ઉઠાવ્યાં

ડેડીયાપાડા ખાતે હારનું મનોમંથન કરવા યોજાયેલ બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ ભાજપ ના પ્રમુખ અને મહામન્ત્રીઓ પર વરસ્યા

પોતાના જ પાર્ટીના નેતાઓને જાહેરમાં ખખડાવ્યાં

જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત ની ચૂંટણીની હાર માટે જિલ્લા પ્રમુખ નીલ રાવ અને ત્રણ મહામઁત્રીઓને જવાબદાર ઠેરવ્યા

ચૈતર વસાવાના હાથીના દાંત જુદા અને ચાવવાના દાંત જુદા છે

ભાજપ નર્મદા જિલ્લા પ્રમુખ અને ચૈતર વસાવા મળેલા છે સાંસદનો ગંભીર આક્ષેપ

નીલ રાવથી ભાજપા કાર્યકર્તાઓએ ડરવાની જરૂર નથી

તમારે રાજકીય કારકિર્દી બનાવી હોય તો મારી સાથે જોડાવું પડશે

નીલ રાવે ડુમખલ ના પોપટ નો ખોટો મુદ્દો ઉછાળ્યો એ મુદ્દો ભાજપને ભારે પડ્યો

કમલમમાં બેસીને ચૂંટણી ના જીતાય

હું પ્રજાની પડશે રહીને કામ કરવા વાળો માણસ છું

ચૂંટણી દરમિયાન લાભાર્થીનો સંપર્ક પણ કરી શક્યા નથી

રાજપીપળા, તા 19

જિલ્લા પંચાયત, અને ડેડીયાપાડા, સાગબારા, ચીકદા, ગરુડેશ્વર તાલુકા પંચાયતની ચૂંટણી ભાજપ બુરી રીતે હારી જતા ભાજપને હજીપણ હારની કળ વળી નથી પણ ભાજપના વરિષ્ઠ આગેવાનો વિવિધ તાલુકાઓમાં હારના કારણો જાણવા અને હારનું મનોમંથન કરવા સમીક્ષા બેઠકો કરી રહ્યાં છે જેમાં રાજપીપળા, ગરુડેશ્વર અને હમણાં ત્રીજી સમીક્ષા બેઠક ડેડીયાપાડા ખાતે યોજાઈ જેમાં સાંસદ મનસુખ વસાવાએ હારનું ઠીકરુ ત્રણે બેઠકોમાં જિલ્લા પ્રમુખ નીલ રાવ અને મહામન્ત્રી હિતેશ વસાવા (ભોલો )ઉપર ફોડ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણે બેઠકોમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને પૂર્વ જિલ્લા પ્રમુખની કોમન હાજરી સૂચક બની હતી જયારે જિલ્લા પ્રમુખ અને મહામઁત્રીની ગેરહાજરી પણ ખાસ સૂચક બની હતી.

દેડિયાપાડા ખાતે યોજાયેલા ભાજપના ‘મનોમંથન કાર્યક્રમ’માં સાંસદ મનસુખ વસાવાએ પક્ષના સ્થાનિક હોદ્દેદારો સામે જાહેરમાં ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં નર્મદા અને ભરૂચના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ડેડીયાપાડા ખાતે હારનું મનોમંથન કરવા યોજાયેલ બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ ભાજપ ના પ્રમુખ અને મહામન્ત્રીઓ રીતસર
ના પર વરસ્યા હતાં. અને પક્ષના જ સંગઠન સામે ગંભીર સવાલો ઉઠાવ્યાં હતાં.

સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ નિલ રાવ અને મહામંત્રી હિતેશ વસાવા (ભોલો) સામે સીધો મોરચો ખોલ્યો હતો. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે, ‘સામે પક્ષેથી ચૈતર વસાવા ડરાવે એ તો યોગ્ય છે, પરંતુ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી પોતે જ જો કાર્યકર્તાઓને ડરાવે, તો એનો અર્થ એ થયો ને કે તેઓ ચૈતર સાથે મળેલા છે
સાંસદ મનસુખ વસાવાએ ઉમેર્યું કે, ‘જિલ્લા પ્રમુખ નિલ રાવથી કોઈનાથી ડરવાની જરૂર નથી. જો તમારે રાજકીય કેરિયર બનાવવું હોય તો અમારી સાથે જોડાઈ જાવ. વર્ષોથી અમે પક્ષ માટે કામ કરીએ છીએ, તમે તો આજકાલના આવેલા છો! જિલ્લા મહામંત્રી હિતેશ વસાવા (ભોલો) પહેલાં ક્યાં હતો? તે ઓરિજિનલ ભાજપનો નથી અને હમણાં અહીં આદિવાસીઓને ડરાવવા નીકળી પડ્યા છો? નિલ ક્યાં હતો અને તારું શું અસ્તિત્વ હતું?’ એમ કહી
પોતાના જ પાર્ટીના નેતાઓને જાહેરમાં ખખડાવ્યાં હતાં.

સાંસદે અસંતોષ વ્યક્ત કરતા મનસુખ વસાવાએ કહ્યું કે, ‘પક્ષે અમારી પાસેનું રાજકીય ગણિત પણ જાણવું જોઈતું હતું. ચૂંટણીમાં સિનિયર લોકોને પૂછવામાં નથી આવ્યું, તેનું જ આ પરિણામ આવ્યું છે. સિનિયર નેતાઓ જ્યારે બોલે, ત્યારે ગમે તે રીતે તેમનો અવાજ દબાવી દેવાની કોશિશ થાય છે. પાર્ટીમાં આવી રીતે નહીં ચાલે, જો આમ જ ચાલશે તો પાર્ટી તૂટી જશે.’નીલ રાવે ઉમેદવારની પસંદગીમાં પણ ઘણી બધી ભૂલો કરી છે જીતે એવા સિનિયર ઉમેદવારને ટિકિટ આપી નથી અને નવા નિશાળિયાઓને ટિકિટ આપી એટલે હાર્યા.

ભાજપા વિરોધી ચૈતર વસાવાના નિવેદન સામે જિલ્લા પ્રમુખ નીલરાવ કાઉન્ટર ન કરી શક્યા એને કારણે આજે ભાજપની હાર થઈ છે.

સાંસદે કાર્યકરોને આસ્વાસન આપતાં જણાવ્યું હતું કે કાર્યકરોને ડરાવશો નહીં, ભાજપ કોઈ એક વ્યક્તિની મરજીથી નથી ચાલતું”.
નીલ રાવથી કે ભોલાથી ભાજપા કાર્યકર્તાઓએ ડરવાની જરૂર નથી.

જિલ્લા મહામન્ત્રી ઓરિજિનલ ભાજપાના નથી
નીલ રાવ ચૈતર વસાવા સાથે મળેલા છે જેવા ગંભીર આરોપો સાંસદે કરતા સભામાં સોપો પડી ગયો હતો.

ચૈતર વસાવા પરઆકરા પ્રહારો કરતા મનસુખ વસાવાએ જણાવ્યું કે, ‘ચૈતર વસાવાના હાથીના દાંત જેવા ચાવવાના અને દેખાડવાના જુદા છે. પીએમ મોદી જ્યારે દેડીયાપાડા આવ્યા, ત્યારે તેમાં થયેલા ખર્ચનો ખોટો પ્રચાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૈતર વસાવાએ કર્યો હતો. તાજેતરમાં કરજણમાં બે આદિવાસી ડ્રાયવરોને નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે અને તેઓ રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આખા ગુજરાતમાં ફરતા ચૈતર વસાવા આ ગરીબ આદિવાસીઓ માટે કેમ કશું બોલતા નથી? આ ચૈતર જૂઠો અને ઠગ છે, તેને ઓળખવાની જરૂર છે. મેં આ મામલે રજૂઆત કરી છે અને ડ્રાયવરોને માર મારનાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.’ચૈતર વસાવાના હાથીના દાંત જુદા અને ચાવવાના દાંત જુદા છે .

આ બાબતે સાંસદે જિલ્લા પ્રમુખનો ઉધડો લેતા જણાવ્યું હતું કે અરે ફંડ માટે માત્ર વાતો જ કરી કે જરૂર પડે તો મને ફોન કરજો તો સાંસદે કહ્યું કે ફોન શું કરવાનો?ફંડ આપી જ દેવાનું હોય ને.કેમ આપ્યું નહીં? જિલ્લા પ્રમુખે કહ્યું કે મારી પાસે ફંડ આવ્યું નથી. ફંડ ના આવ્યું હોય તોપણ આપવાની જવાબદારી પાર્ટીના પ્રમુખની છે. જિલ્લા પ્રમુખ તરીકે સાવ નિષ્ફળ ગયેલા માણસ છે એમ સાંસદે જણાવ્યું હતું.

આ મનોમંથન કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સાંસદ મનસુખ વસાવાના સૂર પુરાવતા જણાવ્યું હતું કે, ‘સંગઠનમાં વરિષ્ઠ નેતાઓનું સન્માન જળવાવું જોઈએ. એક સાંસદનું અપમાન એ માત્ર વ્યક્તિગત અપમાન નથી, પરંતુ આખા આદિવાસી સમાજનું અપમાન છે.’

સોશિયલ મીડિયામાં પોતાનીજ વાહ વાહી,પબ્લિસિટી કરતા નીલ રાવ સામે આકરા પ્રહારો કરતાં સાંસદે જણાવ્યું હતું કે નીલ રાવતો સોશિયલ મીડિયામાં હીરો થઈ જાય છે એમ જણાવી જિલ્લા પ્રમુખને આડે હાથે લીધા હતાં

તસવીર :દીપક જગતાપ, રાજપીપળા