નર્મદામાં ગઢ અર્ધા આલા પણ પૂર્ણ સિંહ (જિલ્લા પંચાયત )ગેલા?!
ભાજપાના નાક નીચેથી જિલ્લા પંચાયત આપ ખૂંચવી ગયું અને ભાજપા હાથ ઘસતું રહી ગયું
નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપની શરમજનક હાર
સ્પષ્ટ બહુમતી સાથે જિલ્લા પંચાયતમાં 22 બેઠકમાંથી આપે 15 બેઠક મેળવીને જિલ્લા પંચાયત જીતી લીધી તો ભાજપને મળી માત્ર સાત બેઠકો
એક ચૈતર બધાં પક્ષો પર ભારી પડ્યા, એક જ ચાલે ચૈતર ભાઈ ચાલે સૂત્રો પણ ચાલ્યા
રાજપીપલા, તા 29

નર્મદા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકાના પરિણામો જાહેર થઈ ગયા છે. એમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે. ત્યારે સામે ભાજપે ઘણી બધી બેઠકો ગુમાવી છે ત્યારે ગઢ અર્ધા આલા પણ પૂર્ણ સિંહ (જિલ્લા પંચાયત )ગેલા જેવો ભાજપાનો ઘાટ ઘડાયો છે.
ત્યારે એની પાછળના કયા કારણો જવાબદાર છે એનું વિશ્લેષણ જોઈએ તો નાંદોદ તાલુકા પંચાયતની 17 બેઠકો પૈકી ભાજપને 12 અને આપને 04અને કોંગ્રેસને 01 બેઠકો મળતા નાંદોદ તાલુકા પંચાયતની બેઠક ભાજપ જાળવવામાં સફળ રહ્યું પરંતુ આ બેઠક પર આપના 4 અને કોંગ્રેસના1 ઉમેદવાર હોવાથી વિરોધ પક્ષ મજબૂત રહેશે એ નક્કી છે.. ભાજપ જો વિકાસના કામો યોગ્ય નહીં કરે તો આ બંને વિરોધ પક્ષ તરીકે ભાજપને હંફાવશે એ પણ નક્કી છે
એ ઉપરાંત તિલકવાડા તાલુકા પંચાયતની 16બેઠકો પૈકી ભાજપ એ 13 અને કોંગ્રેસે 3 બેઠકો મેળવી છે અને તિલકવાડા તાલુકા પંચાયત ભાજપે કબજે કરી છે.જોકે આમાં આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળી નથી. આ બેઠક પર ત્રણ સભ્યો વાળો કોંગ્રેસ પક્ષ કેવો વિરોધ કરશે તે હવે જોવું રહ્યું.
તો બીજી તરફ નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના મતવિસ્તાર ગરુડેશ્વર તાલુકા પંચાયત ભાજપે ગુમાવીછે.અને આમ આદમી પાર્ટી આ પંચાયત જીતી લીધી છે. જે ભાજપ માટે શરમજનક વાત કહી શકાય. ગરૂડેશ્વર તાલુકા પંચાયતની 16 પૈકી આમ આદમી પાર્ટી એ 13 બેઠકો જીતી લીધી છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ફાળે માત્ર 3 બેઠકો ગઈ છે.
ડેડીયાપાડા તાલુકા પંચાયત બેઠક ઉપર ભાજપની સૌથી બાજ નજર હતી અને આ બેઠક જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ મરણિયા પ્રયાસો કર્યા હતા. અને એડીચોંટીનું જોર લગાવ્યું હતું.ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી થી માંડીને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જેવા દિગ્ગજ નેતાઓ ને ડેડીયાપાડા ઉતારી જાહેર સભાઓ કરી હતી. પણ સત્તા મળી નહીં.ડેડીયાપાડા તાલુકા પંચાયત 18 માંથી 17 બેઠકો મેળવીને ભાજપને માત્ર એક બેઠકો આપીને આમ આદમી પાર્ટી એ ભાજપના નાક નીચેથી ડેડીયાપાડા તાલુકા પંચાયત ખૂંચવી લીધી એ ભાજપ માટે શરમજનક જ નહીં પણ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત કહી શકાય.એટલું જ નહીં સાગબારા તાલુકા પંચાયત પણ ભાજપ એ ગુમાવી, સાગબારા તાલૂકા પંચાયતની 18 બેઠકોમાંથી 13 બેઠકો આમ આદમી પાર્ટી લઈ ગઈ ભાજપને માત્ર 5 જ મળી.!
એ ઉપરાંત આ વખતે ભાજપા સરકારે ડેડીયાપાડા નું વિભાજન કરી નવનિર્મિત ચિકદા તાલુકા પંચાયતની રચના કરીહતી.કદાચ ભાજપને એમ કે આ બેઠક ભાજપને ફાળે જશે. પણ ભાજપના સમીકરણો ઉલટા પડ્યા સીધા તાલુકા પંચાયતની 16 બેઠકમાંથી આમ આદમી પાર્ટી 15 બેઠકો લઈ ગઈ અને ભાજપને માત્ર સમ ખાવા પૂરતી એક જ બેઠક મળી. આ પરિણામ પણ ભાજપ માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું પુરવાર થયું છે.
ડેડીયાપાડા, સાગબારા અને ચીકદા ત્રણેય મતવિસ્તાર સાંસદ મનસુખ વસાવાનો મતવિસ્તાર ગણાતો હોવા છતાં સાંસદ મનસુખભાઈએ ઘણી મહેનત કરી, આપ પર ઘણા આકરા પ્રહારો, એકલા હાથે લડતા રહ્યાં, વિકાસની ખૂબ મોટી વાતો પણ પરંતુ એ વોટમાં તબદીલ ન કરી શક્યા. ભાજપના અન્ય નેતાઓ તો ચૂપ જ રહ્યા. પણ આદિવાસી મતદારોએ મૌન તોડીને ભાજપને જડબાતોડ જવાબ આપી
નર્મદા જિલ્લા પંચાયત, ચીકદા તાલુકા પંચાયતઅને સાગબારા તાલુકા પંચાયત અને ગરુડેશ્વર તાલુકા પંચાયત ભાજપ પાસેથી આંચકી લીધી.ભાજપ માટે ખૂબ મોટો ફટકો કહેવાય.
ચૈતર વસાવાને ગાળો દેવાનું ભાજપાને ભારે પડી ગયું, સંજય વસાવા ઉપર ગ્લાસ પ્રકરણ પણ ભાજપાને ભારે પડી ગયો. ચૈતર વસાવાનો જેલવાસ અને એક વર્ષ સુધી પોતાના મત વિસ્તારથી દૂર રાખ્યા એ ડેડીયાપાડા સાગબારા ના આદિવાસી મતદારોને ગમ્યું નહીં. પોતાના નેતાને પ્રજાથી વંચિત રાખ્યાનો જવાબ આદિવાસી મતદારોએ ભાજપા વિરુદ્ધ માં જઈને જડબાતોડ આપ્યો છે. આમાંથી ભાજપા બોધ પાઠ શીખે તો સારૂ છે નહીંતર આગામી વિધાનસભામાં ભાજપાને અઘરું પડી શકે છે.એક ચૈતર બધાં પક્ષો પર ભારી પડ્યા અને “એક જ ચાલે ચૈતર ભાઈ ચાલે..”ના સૂત્રો પણ ચાલ્યા. આદિવાસીઓએ ખોબા ભરીને ચૈતર વસાવાને અને આપને ખોબા ભરીને મતો આપ્યા.
એક તરફ જ ભાજપના દિગ્ગજ નેતાઓ ડેડીયાપાડા વિસ્તારમાં પ્રચાર કરતા રહ્યા તો બીજી તરફ આમ આદમી પાર્ટીના સંજય સિંહ સિવાય એક પણ નેતા પ્રચાર કરવા આવ્યા નહોતા.ચૈતર વસાવાની પોતાના મત વિસ્તારમાં પ્રવેશવાની પ્રવેશબંધી હોવા છતાં
ચૈતર વસાવા એકલા હાથે પોતાના ખભે પાર્ટીનો ભાર ઊંચકીને મેદાનમાં રહ્યા અને યોદ્ધાની જેમ લડતા રહ્યાં.તેમની બંને પત્નીઓએ પણ બાજી સંભાળી અને ચૈતર વસાવાની ગેરહાજરીમાં આદિવાસીઓએ મત આપ્યા અને આપને જીતાડ્યા એ બતાવે છે કે આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાની લોકપ્રિયતા કેટલી છે. ત્યારે હવે એ જોવું રહ્યું કે સત્તામાં આવ્યા પછી આમ આદમી પાર્ટી પ્રજાનો અને આદિવાસીઓ માટે એવા વિકાસના કામો કરે છે
ચૂંટણીમાં હાર જીતતો થતી રહે છે જયારે જીતનો શ્રેય પાર્ટી. કે નેતાઓ લેતા હોય તો હાર સ્વીકારવાની અને હારને પચાવવાની તૈયારી જે તે પાર્ટીએ સ્વીકારતા શીખવું પડશે ત્યારે શું ભાજપા ખુલ્લા દિલથી ગુમાવેલી બેઠક માટે હાર સ્વીકારશે કે પછી હારનો ઠીકરો એક બીજા ઉપર ફોડશે?
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા
~~~~~~~~~~~~~~~~~
ભાજપા ના એક આગેવાને તો સોસીયલ મીડિયામા તો લખ્યું છે કે
નર્મદા જિલ્લા મા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતોમા અત્યાર સુધી ક્યારેય ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરોયે આટલી ભૂંડી હાર આટલા વર્ષોના ઇતિહાસ જોઈ નથી એવી કારમી હાર આજે ભાજપ કાર્યકરોએ જોઈ જેનાથી પાયાનો તેમજ આજના નવ યુવા કાર્યકર્તાનુ માથું શરમથી ઝૂકી ગયું છે.. જયારે વિરોધ પક્ષ નો તપતો સૂરજ હતો ત્યારે 1990 ના વર્ષ મા સ્વ. ચંદુભાઈ દેશમુખ સાહેબ ના માર્ગદર્શન હેઠળ પ્રથમ વિધાનસભા ડેડીયાપાડામા વિજયના શ્રી ગણેશ થયા બાદ ડેડીયાપાડા વિધાનસભા ના મતદારો અવાર નવાર ભાજપ ને જિલ્લા તાલુકામા વારંવાર સત્તાનુ શુકાન સોંપ્યું છે.જેમાં આદિવાસી સમાજનું સન્માન અને ગૌરવ એવા મનસુખભાઇ વસાવા દ્વારા આજદિન સુધી ડેડીયાપાડા વિધાનસભમા ક્યારેય અન્ય જિલ્લા પ્રમુખ ના નેતૃત્વમા માયનસ નથી થયા. પ્રથમ વાર નર્મદા જિલ્લા પ્રમુખના નેતૃત્વમાં ભાજપાની હાર થઈ છે.આદિવાસી સમાજ ના જનપ્રિય સેવક આટલા માયનસ મા ગયા છે એ માટે જવાબદાર કોણ?.. આટલી મોટી હાર જ્યાં વિકાસ સાથે વિવિધ યોજના જેમાં કિસાન સમ્માન નિધિ, મફત અનાજ, તેમજ અન્ય સહાય યોજનાઓ આદિવાસી સમાજ માટે અમલી હોય તેમ છતાં આદિવાસી સમાજ જે વારંવાર ભાજપ સાથે રહેલ હોવા છતાં 2026 મા આટલી મોટી કારમી હાર થઈ જે અનેક સવાલો ઉભા કરે છે… આવુ શામાટે થયું? જવાબદારી કોની…?. પ્રદેશ સંગઠન દ્વારા જો શરૂઆતમા આની સમીક્ષા કરી હોત તો આજે આવી કારમી હાર થઈ નહોત… હવે ભારતીય જનતા પાર્ટી એ કોઈ ની જવાબદારી સુનિશ્ચિત કરવી જરૂરી છે… શું ભારતીય જનતા પાર્ટી જવાબદારી સુનિશ્ચિ કરશે…??? કે આ હારનું ઠીકરુ અન્યનિર્દોષ ના માથે નાખવા મા આવશે…??
તો બીજા એક ભાજપાના આગેવાને પણ સોસીયલ મીડિયામાં ચર્ચા કરતાં જણાવ્યું છે કે
હું જ સર્વોપરી છું,હું જ કંઈક છું હું જે કરીશ તે જ થશે.આપણે સૌના સાથનો વિચાર ધારાને છોડી છે.આ હું પદ ભાજપાને ભારે પડ્યો છે. શું જિલ્લા પ્રમુખ આ જવાબદારી સ્વીકારશે ખરા?
~~~~~~~~~~~~~~~~~
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા
~~~~~~~~~~~~~~~~