*કુમકુમ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૧૯૬મા અંતર્ધાન દિનની ઉજવણી કરવામાં આવી.*

*કુમકુમ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૧૯૬મા અંતર્ધાન દિનની ઉજવણી કરવામાં આવી.*

*આપણું જીવન વ્યસનમુક્ત, નીતિમય,સદાચારમય બનાવીએ તે જ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*

તા. ૨૪ જૂન – બુધવાર – જેઠ સુદ દશમના રોજ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૧૯૬મા અંતર્ધાન દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી હરિનો સંતો – હરિભકતો દ્વારા પુષ્પોથી અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કીર્તનભક્તિ પારાયણ યોજાઈ હતી.

આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન કવન ઉપર પ્રવચન કર્યા હતા.

*કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અંતર્ધાન દિન એટલે આપણે તેમણે ચિંધેલા સત્ય, સદ્ગુણ અને ભક્તિના માર્ગે આગળ ચાલવા માટે સંકલ્પ લેવાનો દિવસ છે. આપણું જીવન વ્યસનમુક્ત, નીતિમય, સદાચારમય બનાવીએ તે જ તેમના ચરણોમાં ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ છે.

શ્રીજીમહારાજે આપેલા નૈતિક મૂલ્યો, સદાચાર, સંસ્કારની જ્યોત આપણે સદાય પ્રજ્વલિત રાખવી જોઈએ. આજના યુવાનો માટે ભગવાનનું જીવન એ રોલ મોડેલ છે. આપણી પ્રગતિ માત્ર સંપત્તિ નથી. ભૌતિક વિકાસની સાથે ચારિત્ર્યની શુદ્ધિ પણ હોવી જોઈએ. આપણા દિવસનો પ્રારંભ અને અંત મોબાઈલ દર્શનથી નહિ, પરંતુ ભગવાનના દર્શન અને પ્રાર્થનાથી કરવો જોઈએ.

વડીલો હવે પોતાનું શેષ જીવન ભક્તિમય સવિશેષ બનાવવું જોઈએ. સાથે – સાથે પરીવારમાં જે બાળકો અને કિશોરો હોય તેને ભગવાનના પ્રેરણામય જીવન ચરિત્રો શીખવવા જોઈએ. પરિવારમાં સંપ અને સુહૃદભાવ વધુ દ્રઢ બને તે માટે પ્રયત્નશીલ બનવું જોઈએ.

શ્રી સ્વામિનારાયણ ભગવાને અનેક સામાજીક અને ધાર્મિક કાર્યો માત્ર ૨૮ વર્ષના સમયગાળામાં કર્યા અને અનેક મંદિરો – શાસ્ત્રો – સંતો બનાવીને જનસમાજનું ઉત્થાન કર્યુ છે અને ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે અને તેનું સંવર્ધન કરવા રાત્રિ દિવસ ગુજરાતના ગામડે ગામડે વિચરણ કર્યું છે.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ