નર્મદા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ભાજપાની હાર પછી પાટીદાર સમાજની અવગણના થતા પાટીદારોમાં રોષ

નર્મદા જિલ્લાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ભાજપાની હાર પછી પાટીદાર સમાજની અવગણીના થતા પાટીદારોમાં રોષ

સોસીયલ મીડિયામાં રોષ વર્ષા

નર્મદા જિલ્લામાં પટેલ સમાજની બીજા નંબરની વસ્તી છે પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકામાં કોઈ સ્થાન અપાતું નથી.?!

રાજપીપળા, તા 31

નર્મદા જિલ્લા પંચાયત ડેડીયાપાડા, સાગબારા, ચીકદા અને ગરુડેશ્વર તાલુકા પંચાયત એકી સાથે પાંચ પંચાયત ભાજપે ગુમાવી ને આપને ચરણે ધરી દીધી. માત્ર નાંદોદ અને તિલકવાડા તાલુકા પંચાયત અને નગર પાલિકા ભાજપ બચાવી શકી છે ત્યારેહારનું ઠીકરુ નર્મદા જિલ્લા પ્રમુખ અને મહામંત્રીઓ પર ફોડવામાં આવી રહ્યું છે. જિલ્લા પ્રમુખ અને મહામંત્રીને સાઇટ પર કરી એમની ગેરહાજરીમાં સમીક્ષા બેઠકો યોજાઇ રહી છે. ત્યારે હાલના અનેક કારણોમાંનું એક કારણ તાજેતરમાં સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજની ઘોર અવગણના થઈ રહી છે તે બાબતે ભારે ચર્ચા થઈ રહી છે. હાલ સોસીયલ મીડીયામાં
ભાજપા દ્વારા પાટીદાર સમાજની ઉપેક્ષા બાબતે ભારે રોષ ઠાલવ્યો છે.
નર્મદા જિલ્લામાં ભદામ ગામે અને એકતાનગર ખાતે સરદાર પટેલની પ્રતિમાઑ આવેલી છે.પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરતા નર્મદા જિલ્લાના વિકાસમાં પાટીદારો
નું મોટું યોગદાન હોવા છતાં પાટીદારોની ઉપેક્ષા થતી હોવાની લાગણી પ્રવર્તી રહી છે.

સોસીયલ મીડિયાના એક ગ્રુપમાં તેની ભારે ચર્ચા થઈ રહી છે.જેમાં જણાવાયું છે કે નર્મદા જિલ્લામાં પટેલ સમાજની બીજા નંબરની વસ્તી છે પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકામાં કોઈ સ્થાન અપાતું નથી.ખાસ કરીને નાંદોદ વિધાનસભામાં બીજા નંબર પર પાટીદાર સમાજ છે. જે પાટીદાર સમાજ માટે આ ચિંતનનો વિષય છે. આના માટે સંગઠિત થઈ એકતા બતાવવાની જરૂર છે. સમાજે પણ આ બાબતે કાંઈક કરવું જોઈએ. જે રીતે આદિવાસી સમાજ આ બાબતે જાગૃત છે. એ રીતે પાટીદાર સમાજમાં પણ જાગૃતિ આવવી જોઈએ.

નર્મદા જિલ્લામાં પાર્ટી ને વટવૃક્ષ બનાવવામાં પાટીદાર સમાજની મહત્વની ભૂમિકા રહી છે. ખુબ મોટુ યોગદાન પણ રહ્યું છે.એવી પણ કોમેન્ટ થઈ રહી છે કે પહેલા પરિવાર હતો હવે પાર્ટી નહી પણ હવે રાજકારણ છે.નગરપાલિકામાં બ્રાહ્મણસમાજની પણ અવગણના થઈ છે.

કેટલાકે એવી પણ જણાવ્યું છે કે પાટીદારો એ માર પણ ખાધો છે.. આર્થિક સહયોગ પણ ખુબ મોટો પાર્ટીને આપ્યો છે….છતાં પણ અવગણના થાય એ પાટીદારોએ સમજવા ની જરૂર છે..આજના એક વ્યક્તિ પાર્ટી (ભાજપ નહીં )સઁગઠન નર્મદા મા પાટીદારો સાથે થઈ રહ્યું છે… આજે કોંગ્રેસ માંથી આવેલા ભ્રષ્ટાચારીઓની બોલબાલા છે.

એ ઉપરાંત હમણાં પુરી થયેલી તાલુકા/ જીલ્લા પંચાયત ની ચુંટણી માં આ લોકો એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ને હરાવવાનુ હીન કૃત્ય કર્યું છે તેના અનુસંધાને કેટલાક પુરાવા પણ જીલ્લા ભાજપના પ્રમુખ સહિત ના હોદ્દેદારો અને તાલુકા ના સંગઠન ને પણ મોકલી આપ્યા છે પણ કોઈ કાયૅવાહી થતી નથી.

આજની વર્તમાન પરિસ્થિતિ જોઇને કે જે પાર્ટી ને વટવૃક્ષ બનાવવામાં પાટીદાર સમાજના આગેવાનો એ રાત દિવસ એક કર્યાં, માર ખાધો, પાર્ટીના કાર્યકર્તાઓ માટે આર્થિક સહયોગ આપી, કમલમ રૂપી છાંયડો કરવામાં પાટીદાર સમાજના પ્રમુખ લોકો અગ્રેસર રહ્યાંછે જયારે કમલમ રૂપી કલ્પવૃક્ષ બનાવ્યું અને આજે એજ સમાજ ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં…રિઝર્વ સીટો હોવા છતાં મહત્વની જવાબદારી એક પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત મા સ્થાન ન મળ્યુંએનું આશ્ચર્ય અને ખેદ વ્યક્ત કરાયો છે.

આજનો નર્મદા જિલ્લો જે તે સમયે ભરૂચ જિલ્લામાં સમાવેશ થતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના છેડો પકડનાર કોઈ ન હતું ત્યારે ગોપાલપુરા માંથી અમે લોકોએ આ પાર્ટી માટે પ્રયત્ન કર્યા ત્યાર પછી લોકો જોડાયા તો પાયાના પથ્થર તરીકે અમને કેમ ભૂલી જાવ છો

ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવામાં ગુલાબસિંહ વસાવા, કંચનભાઈ માછી, ભલાભાઇ વસાવાનો પણ મૂળ ખૂબ મોટો ફાળો છે.જનસંઘનાએ સમયના ચંદ્રકાંત ગોન્ડકર જી ને જો ભૂલી જઈએ તો આપણાથી નગુણા કોઈ ન કહેવાય.ભુપેન્દ્રસિંહ પરમાર અને યોગીરાજસિંહ ગોહિલને પણ ભૂલી શકાય તેમ નથી.
કાલિદાસ બક્ષી મગનભાઈ માછી,જગદીશ પટેલ,રણવીર સિંહ ચૌહાણ, હિતેશ ભટ્ટ
બહેનોમાં ઉષાબેન ગોહિલ નું નામ લઈ શકાય.એટલી મોટી યાદી છે કે આજના ભાજપમાં આવેલા હોય એમને તો ખબર પણ નહીં હોયજે નવા નિશાળિયાઓ આવે છે તેને ખબર પડે કે ભારતીય જનતા પાર્ટી ઉભી કરવામાં કોનું કેટલું યોગદાન છે. આજે આવેલા લોકોને ખબર નથી કેવા સંજોગોમાં કેવા સંઘર્ષમાં આ પાર્ટી ઊભી થઈ હતી એને બચાવવાનું કામ તમામ લોકોએ ભેગા થઈને જ કરવું પડશે.
આજે નમૅદા જીલ્લા ભાજપમાં બેનંબરી ધંધાદારી, ભ્રષ્ટાચારીઓની વાત સાંભળવામાં આવે છે તદ્દન જુઠ્ઠા અને ખુશામતખોર લોકો ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.સાચા ઈમાનદાર અને પક્ષ ને વફાદાર પાયાના કાર્યકરો ની ઉપેક્ષા કરવામાં આવે છે આ બાબતે જીલ્લા ભાજપ ની મીટીંગ બોલાવવામાં આવે અને મુક્ત ચચૉ કરવામાં આવે તો ઘણી બાબતો ઉજાગર થાય તેમ છે. ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસીઓને લાવીને તેમના દ્વારા જુના પીઢ,પક્ષને વફાદાર પાયાના કાર્યકરો ને એક પછી એક દુર કરવામા આવી રહ્યા છે અને સત્તાધિશો સાથે મળીને લાખો રૂપિયાની ગ્રાન્ટ પોતે અને પોતાના સગા સંબંધીઓને કમાણી કરવાનુ જ કામ થાય છે!

એક સમયે ગામડાઓમાં જવાતું પણ નહોતું.તે વખતે કોંગ્રેસનો સુરજ મધ્યાહનને તપતો હતો ત્યારે પથરા ખાધા છે. માર ખાધો છે..વાહનની પણ વ્યવસ્થા નહોતી, ગામડાઓમાં BJP ના કાર્યકર્તાને પાણી પણ ન આપતું.એટલી હદે કોંગ્રેસના લોકોની ધાક અને કનડગત હતી. એવી પરિસ્થિતિ મા પક્ષનું કામ કરી પાર્ટી ઉભી કરી છે.ત્યારે સંગઠનનું ગૌરવ કાર્યકર્તાઓથી બને છે, તકસાધુઓથી નથી બનતું.

કોઈપણ રાજકીય સંગઠનની સાચી તાકાત તેના હોદ્દેદારોમાં નહીં, પરંતુ વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક પરિશ્રમ કરનારા કાર્યકર્તાઓમાં સમાયેલી હોય છે. એવા કાર્યકર્તાઓ, જેમણે સંઘર્ષના સમયમાં સંગઠનનો ધ્વજ ઊંચો રાખ્યો, વિરોધ અને મુશ્કેલીઓ વચ્ચે પણ સંગઠનના સિદ્ધાંતો અને વિચારધારા માટે અડગ રહી પોતાનું યોગદાન આપ્યું હોય.
પરંતુ જ્યારે કેટલાક તકસાધુ લોકો માત્ર પોતાના સ્વાર્થ માટે સંગઠનમાં સ્થાન મેળવે છે.અને સંગઠનને પોતાની ખાનગી જાગીર સમજી મનમાની કરવા લાગે છે, ત્યારે સમર્પિત કાર્યકર્તાઓની લાગણીઓને ઠેસ પહોંચે છે. વર્ષો સુધી ત્યાગ અને પરિશ્રમ કરનારા કાર્યકર્તાઓની અવગણના કોઈપણ સંગઠન માટે ચિંતાનો વિષય બની શકે છે.સંગઠનને મજબૂત બનાવવા માટે જરૂરી છે કે જૂના, નિષ્ઠાવાન અને સંઘર્ષશીલ કાર્યકર્તાઓના યોગદાન અને બલિદાનને યાદ કરવામાં આવે. તેમના અનુભવ, સમર્પણ અને સંગઠન પ્રત્યેની વફાદારીનું સન્માન થવું જોઈએ. સંગઠનનું ભવિષ્ય એવા લોકોના હાથમાં સુરક્ષિત રહે છે, જેઓએ વર્ષો સુધી તેને પોતાના પરિશ્રમથી સિંચ્યું હોય.

સમયની માંગ છે કે આત્મમંથન કરવામાં આવે, સંગઠનના હિતને સર્વોપરી રાખવામાં આવે અને એવા તમામ તત્વોથી સંગઠનને મુક્ત કરવામાં આવે જે સંગઠનની એકતા, કાર્યકર્તાઓના આત્મસન્માન અને લોકવિશ્વાસને નુકસાન પહોંચાડે છે.કાર્યકર્તાઓનું સન્માન એ જ સંગઠનનું સન્માન છે.બલિદાનને ભૂલી જનાર સંગઠન ક્યારેય મજબૂત બની શકતું નથી, જ્યારે બલિદાનને યાદ રાખનાર સંગઠનને કોઈ હરાવી શકતું નથી.

પાર્ટી ઉભી કરવામાં દરેક સમાજનાં અગ્રણી લોકો નું યોગદાન અને સહયોગ અને સંઘર્ષ રહ્યો છે. જે વાસ્તવિકતાને સ્વીકારવી પડે….એના મૂળમાં જોઇએ તો અનેક લોકો ના સંઘર્ષ, બલિદાન રહ્યા છે…જે અત્યારે તૈયાર થાળીમાં બેઠાં છે તે લોકો ને ખબર નથી..અને ખબર છે તો જે લોકો હયાત છે અથવા તેઓના પરિવારજનો જે કાર્યકર્તા તરીકે સક્રિય છે તેમની કોઈ ગણના નથી કરતાં અને તેઓનું અપમાન થાય છે. સક્રિય જવાબદારી માથી નિષ્ક્રિય કરવા માટે યોજના પુર્વક સક્રીય રાજનીતિ થી દુર કરી દેવામાં આવે છે.જેવી સોસીયલ મીડિયામાં ચર્ચા જોર શોર થી ચાલી રહી છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપળા