*કુમકુમ મંદિર ખાતે નિર્જળા – ભીમ એકાદશીની ઉજવણી કરવામાં આવી.*
*આ પ્રસંગે ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા હતા.*
તા. ૭–૬-૨૦૨૫ ને શનિવારના રોજ જેઠ માસની નિર્જળા ભીમ એકાદશી હોવાથી સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર મણિનગર ખાતે સવારે ૭ – ૦૦ વાગ્યાથી વચનામૃત રહસ્યાર્થપ્રદીપિકાટીકા અને જીવનપ્રાણ બાપાશ્રીની વાતોનું પઠન કરવામાં આવ્યું હતું, અને સવારે ૮ – ૦૦ વાગ્યાથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને રંગબેરંગી ફૂલોના કલાત્મક શણગાર ધરાવવામાં આવ્યા હતા. જે દર્શનનો અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
*આ નિર્જળા – ભીમ એકાદશી અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, જેઠ માસમાં શુક્લ પક્ષમાં આવતી એકાદશીને નિર્જળા એકાદશી – ભીમ એકાદશી કહેવામાં આવે છે.આ જેઠ સુદ એકાદશીના રોજ નકોરડો ઉપવાસ કરવાનો હોય છે. તેનું મહત્વ એવું છે કે, આ દિવસે ભીમે પણ એકાદશી કરી હતી. ભીમ એકાદશી કરવા માટે અસમર્થ હતો છતાં તેણે કરી હતી તો આપણે તો અવશ્ય કરવી જ જોઈએ.
પદ્મ પુરાણમાં ભીમ એકાદશી એટલે કે, નિર્જળા એકાદશી કરવાનો મહિમા વર્ણવતા કહેવામાં આવ્યું છે કે, આ એકાદશી કરવાથી બ્રહ્મહત્યા કરનાર, મદ્યપાન કરનાર, ચોરી કરનાર,ગુરુનો દ્રોહ કરનાર, સદા અસત્ય બોલનાર આદિ અનેક મહાપાપોથી મુક્તિ મળે છે.
આ એકાદશી કરવાથી મેરુ અને મંદરાચળ પર્વત જેવા મોટા પાપનો કોઈ માણસ પર્વત હોય, તો પણ તેના પાપ નાશ પામી જાય છે.
આ એકાદશી કરવાથી ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થાય છે.