સ્મૃતિના વનમાં ખોવાયેલું અસ્તિત્વ – સંજના મકવાણા

યાદોને જો માત્ર “સ્મરણ” કહીએ તો એ એમ જ છે જેમ દરિયાને ફક્ત પાણી કહેવું.હકીકતમાં યાદો એક વિશાળ વન જેવી છે.જ્યાં દરેક વૃક્ષ એક ક્ષણ છે,દરેક પાન એક ભાવના અને દરેક પડછાયો એક અધૂરી વાત.આ વનમાં જ્યારેઆપણે પહેલીવાર પ્રવેશીએ છીએ,ત્યારે બધું ખૂબ સુંદર લાગે છે.જાણે વસંતનું આગમન થયું હોય.પણ જેમ જેમ અંદર જઈએ તેમ સમજાય છે કે આ વનનો કોઈ અંત નથી.
કેટલાક રસ્તાઓ એવાં હોય છે,જે આપણને પાછા એ જ જગ્યાએ લાવી મૂકે છે જ્યાંથી આપણે ભાગવા માગતા હતા.યાદો એ ગૂંચવાયેલા રસ્તાઓ છે.જેમાં દિશા કરતાં લાગણીઓ વધારે કામ કરે છે.
ક્યારેક કોઈ એક યાદ સાંજના ધીમા પ્રકાશ જેવી હોય છે. નરમ શાંત પણ અંદર ક્યાંક અંધકાર છુપાવતી અને ક્યારેક એ જ યાદ તોફાની વરસાદ બની જાય છે.જ્યાં દરેક ટીપું કોઈ અધૂરી વાતને જીવંત કરી નાખે છે.

શું અજીબ નથી લાગતું…? એક જ યાદ ક્યારેક શરણ બની જાય છે અને ક્યારેક શરણમાં જ બંધન બની જાય છે.
માનવમન એક પુસ્તકાલય જેવું છે,જ્યાં દરેક યાદ એક પુસ્તક બનીને સંગ્રહિત છે પણ સમસ્યા ત્યાં શરૂ થાય છે.જ્યારે આપણે એક જ પુસ્તકને વારંવાર વાંચતા રહીએ છીએ. શરૂઆતમાં એ પુસ્તક ગમતું હોય છે,પછી એ સમજાય છે અને અંતે એ જ પુસ્તક આપણને થકાવી નાખે છે. યાદો નો થાક એ જ ક્ષણે જન્મે છે, જ્યારે “સ્મરણ” એક “આદત” બની જાય છે.

સમય એક વહેતી નદી છે.એ સતત આગળ વધે છે,ક્યારેય પાછું ફરીને નથી જોતો. પણ યાદો એ નદીના કિનારે ઊભેલા પથ્થર જેવી છે, જે નદીના પ્રવાહને નથી રોકતા.પણ પોતાની જગ્યાએ સ્થિર રહીને પાણીને અથડાવા મજબૂર કરે છે અને જ્યારે પાણી વારંવાર અથડાય છે ત્યારે પથ્થર નહીં પણ પાણી પણ થાકી જાય છે…

એ જ રીતે જ્યારે મન વારંવાર એક જ યાદ સાથે અથડાય છે ત્યારે યાદો નહી પણ આપણું અસ્તિત્વ થાકી જાય છે.

યાદો ક્યારેક દીવાના શીખા જેવી હોય છે.એ પ્રકાશ પણ આપે છે અને ધીમે ધીમે બળાવી પણ નાખે છે.આપણે એ પ્રકાશને પકડી રાખવા માગીએ છીએ પણ એ શીખા છે એને પકડી રાખીએ તો હાથ બળી જાય.
ક્યારેક યાદો જૂના સુગંધિત પત્ર જેવી હોય છે .
જેણે વાંચીએ તો એક અજાણી ખુશ્બૂ ફેલાય.પણ એ જ પત્રને વારંવાર ખોલીએ તો એ ખુશ્બૂ પણ ધીમે ધીમે ગુમ થઈ જાય છે. એમ જ યાદોને વધુ પકડી રાખીએ તો એ પોતાની સુંદરતા ગુમાવી દે છે.
યાદોનો મૂળ સ્વભાવ “વહેવાનો” છે,પણ આપણે એને “સ્થિર” બનાવી દઈએ છીએ અને જ્યાં વહેણ અટકે ત્યાં જ સડણ શરૂ થાય છે.

યાદોની થાક એ જ સડણનું પરિણામ છે.જ્યાં ભાવનાઓ જીવંત રહેતી નથી પણ માત્ર ભાર બની જાય છે.

એક પંખી જેવું વિચારો. જે આકાશમાં મુક્તપણે ઉડે છે.જો એને પાંજરામાં બંધ કરી દઈએ તો એ પંખી જીવતું તો રહેશે, પણ એની ઉડાન મરી જશે. યાદો પણ એ જ પંખી છે.જેને આપણે પોતાના મનના પાંજરામાં કેદ કરી દઈએ છીએ. અને પછી કહીએ છીએ “યાદો થાકી ગઈ…”.હકીકતમાં,યાદો નહીં,એની ઉડાન થાકી ગઈ છે.

ક્યારેક યાદો એક અરીસો પણ હોય છે.જેમાં આપણે આપણું જૂનું સ્વરૂપ જોઈ શકીએ છીએ.પણ જો આપણે એ અરીસામાં જ અટવાઈ જઈએ તો આપણે આપણું વર્તમાન ગુમાવી બેસીએ છીએ.
જીવનનું સૌંદર્ય આગળ વધવામાં છે પણ યાદો આપણને પાછળ ખેંચે છે.આ બે વચ્ચેનો સંઘર્ષ જ “યાદોની થાક” તરીકે અનુભવાય છે.

એક વાત ખૂબ સૂક્ષ્મ છે , પણ ખૂબ સત્ય છે. યાદો ક્યારેય આપણને દુઃખ નથી આપતી, દુઃખ તો આપણે એને પકડીને રાખીએ છીએ એથી થાય છે.

જ્યારે આપણે કોઈ ક્ષણને “છોડી દેવાની” કળા શીખી જઈએ,ત્યારે એ ક્ષણ “યાદ” બનીને નહીં, પણ “અનુભવ” બનીને જીવંત રહે છે અને અનુભવ ક્યારેય થાકતો નથી.એ તો માત્ર ઊંડો બનતો જાય છે.
યાદો એક રાત્રી જેવી છે,જ્યાં અંધકાર પણ છે અને તારાઓ પણ, પ્રશ્ન એ નથી કે રાત કેટલી લાંબી છે,પ્રશ્ન એ છે કે અપણે અંધકારમાં ખોવાઈએ છીએ કે તારાઓ શોધીએ છીએ અને જ્યારે આપણે તારાઓ શોધવા શીખી જઈએ છીએ ત્યારે સમજાય છે.યાદો ક્યારેય થાકતી નથી, એ તો માત્ર આપણને શીખવતી રહે છે કે ક્યારે પકડી રાખવું, અને ક્યારે છોડીને આગળ વધવું. ✨

– સંજના મકવાણા