સેતુબંધનું સ્થાપન નીતિથી નહિ,પ્રીતિથી જ થઇ શકે.
વિષય,વિષમ પરિસ્થિતિ,નિરંતર વિશાદપૂર્ણ જીવન, વિદ્વૈષવેશ અને વિકલ્પ શોધવા-એ પંચવિષ છે.
ક્ષમા,આર્જવ(ઋજુતા),દયા,સંતોષ અને સત્ય-એ પંચઅમૃત છે
કથા પંક્તિ:
અમિઅ મુરિમય ચૂરન ચારુ;
સમન સકલ ભવ રુજ પરિવારુ.
-બાલકાંડ દોહા-૧
ગુરુપદરજ મૃદુ મંજુલ અંજન;
નયન અમિઅ દ્વગ દોષ બિભંજન.*
બાલકાંડ દોહા-૨
અમૃત યાત્રાનાં પૂર્ણાહુતિ દિવસે બાપુએ કહ્યું કે કાગભુષંડીજીના વર્ણનમાં શિવ સ્થાપનાનો પ્રસંગ નથી કદાચ ભુસુંડી ક્રમમાં નિરંતર કથા કહે ત્યારે પહેલા આ પ્રસંગ ગાયો હોય પરંતુ શિવજી ખુદ કથામાં વિરાજમાન છે ત્યારે એની પ્રતિષ્ઠા કઈ રીતે કરે!અહીં સમુદ્ર રસ્તો નથી આપતો ત્યારે રામ થોડા કઠોર બની અને દંડની વાત કરે છે એ વખતે નીતિ વચન કહે છે:
સઠ સન બિનય;કુટિલ સન પ્રીતિ;
સહજ કૃપન સન સુંદર નીતિ,
મમતા રત સન જ્ઞાન કહાની;
અતિ લોભિ સન બિરતી બખાની.
આ પ્રકારના નીતિ વચન પર ચાલશું તો સેતુબંધ ક્યારેય નહીં બાંધી શકાય.આ નીતિને પ્રીતિમાં બદલવી પડશે કારણ કે આપણે વધારે નીતિવાળા માણસો છીએ પ્રીતિવાળા ક્યાં છીએ!સેતુબંધનો આરંભ પ્રીતિથી જ થશે.હિંમત હોય અને સાધુતા હોય તો શઠ સાથે પણ વિનય કરવો પડશે એવું પ્રીતિ કહે છે.જો એની સાથે વિનય નહીં કરીએ,એની અવગણના કરશું તો સફળ નહીં થઈએ.તો એના માટે જોડાવાનો કોઇ અવકાશ જ નહીં રહે.વિનયથી જ સુધરશે.વિનય ગણેશ વાચક શબ્દ છે તેથી સેતુબંધના આ શ્રી ગણેશ છે.નીતિ કહે છે કે કૂટીલ સાથે પ્રીતિ કેમ કરાય?પણ પ્રીતિ કહે છે કે કૂટીલને જ પ્રીતિની જરૂર છે.કૂટીલ સાથે પ્રેમ નહીં કરો તો કૃષ્ણને કેમ પ્રેમ કરશો!કૃષ્ણ પણ વક્ર છે.કૃષ્ણ રામ જેટલા સીધા અને સરળ નથી.
ગ્રંથ,ઇષ્ટ અને પરમગુરુ એના તરફ આપણો પ્રેમ અને શ્રદ્ધા હોય એમાં બાધક તત્વો ક્યા છે?બાપુએ જણાવ્યું કે ૪૦-૫૦ વર્ષ પહેલાં ભાવનગર પાસેના ખોડીયાર મંદિરે કથા કહેતો એ વખતે આ પ્રશ્ન પૂછાયેલો જે આજે પણ પૂછાયો છે.ચારથી પાંચ વસ્તુ એમાં બધક બને છે એક છે:કુસંગ-આપણી નિષ્ઠામાં એ સ્ખલન કરે છે.એક છે પ્રણોભન- જે આપણને દૂર લઈ જાય છે,પણ ખૂબસૂરત મુખવટો પહેરીને કુસંગને લાવે છે.બુદ્ધપુરુષ તરફ આપણી તીવ્રધારામાં કુસંગ બાધક બને છે.એક છે કેન્દ્રને છોડી અને વર્તુળને જોતા રહેવું.કેન્દ્રમાં વ્યાસપીઠ છે. સદગુરુ છે.સદગ્રંથ છે.ઇષ્ટ છે.પણ આપણે આસપાસ જ જોતા રહીએ.પૃથક્કરણ કરતા રહીએ અને એકબીજા તરફ વિદ્વૈષ કરીએ આ વસ્તુઓ બાધક બને છે.અતિ લોભી છે એની પાસે સુંદર નીતિનું વ્યાખ્યાન બેકાર છે.પરંતુ લોભી સામે વૈરાગ્યની ચર્ચાને બદલે વિરક્તિમાં કેટલો આનંદ છે એ બતાવવું જોઈએ.ક્રોધીની સામે શાંતિની વાત, નીતિ કહે એ રીતે નકામી છે પણ પ્રીતિ કહે છે કે ક્રોધીને જ શાંતિની જરૂર છે.કામીની સામે હરિકથા પણ નીતિ મનાઈ કરે છે.
ભુશુંડિજીએ રામેશ્વરની કથા નથી લખી કારણ કે એકબીજાને જોડવું એ જ સેતુબંધ છે.
કથાના અંત તરફ અયોધ્યામાં રામના રાજ્યાભિષેકની કથા બાદ ઉપસંહારક વાત કરતા બાપુએ જણાવ્યું કે જ્યારે આઠ દસ વર્ષના અષ્ટાવક્રને જનક રાજા પ્રણામ કરીને કહે છે કે જ્ઞાન કઈ રીતે આવે?મુક્તિ કેમ મળે?વૈરાગ્ય કેમ મળે ?એ બતાવો ત્યારે અષ્ટાવક્ર ગીતામાં અમૃત અને વિષની વ્યાખ્યા કરવામાં આવી છે.અષ્ટાવક્ર કહે છે કે મુક્તિ ઈચ્છતો હો તો વિષય જ વિષ છે-પણ આપણા માટે તો આંખ જોશે,જીભ કંઈક બોલશે આંખ કંઈ અભદ્ર ન જુએ,જીભ કોઈનો દ્વૈષ કરીને નિંદા કરે એ વિષ છે.ભદ્ર સાંભળવું,અભદ્ર ન સાંભળવું.જોવું પરંતુ સમ્યક.તો પાંચ વસ્તુને વિષ કહેવાઇ:વિષય, વિષમ પરિસ્થિતિ,નિરંતર વિશાદપૂર્ણ જીવન, વિદ્વૈષવેશ અને વિકલ્પ શોધવા-એ વિષ છે.પાંચ અમૃતની વાત કરી:ક્ષમા,આર્જવ(ઋજુતા),દયા, સંતોષ અને સત્ય-એ અમૃત છે.આપણે પણ અમૃતનું સેવન કરવાનો સંકલ્પ કરી અને અમૃતકાળની આ કથાને વિરામ આપીએ ત્યારે અમૃતપર્વની આ રામકથાનું સુફળ ભારતની આઝાદીની અમૃત યાત્રામાં આદિથી લઈને આજ સુધી યોગદાન, બલિદાન આપ્યું એવી સમર્પિત ચેતનાઓને રમાભૈયા અને શુભોદયની ન દેખાતી ચેતનાઓના હાથે સમર્પિત કરવામાં આવ્યું.
હવે પછીની-૯૨૪મી રામકથા કબીર આશ્રમ-મોરબીથી પૂલ દુર્ઘટનનાં દિવંગતોનાં મોક્ષાર્થે આગામી ૩૦ સપ્ટેમ્બર-શનિવારથી શરુ થશે.જે નિયત સમયે આસ્થા ટીવી ચેનલ તેમજ ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ પર નિહાળી શકાશે.
અમૃતસત્ય
ગુરુમુખી થયા વગર ગ્રંથ પણ ગ્રંથીમુક્ત બનતો નથી
અહીં વારંવાર રામચરિતમાનસની કોઈને કોઈ પંક્તિ લઈ અને વિવાદો થતા રહે છે એ તરફ બાપુએ કહ્યું કે ગીતાપ્રેસ ગોરખપુરથી જે પ્રકાશનો મોટાભાગે થયા છે એમાં એક ચોપાઈ જે વારંવાર ઉછાળાઈ રહી છે:
ઢોલ ગંવાર શુદ્ર પશુ નારી;
યે સબ તાડના કે અધિકારી.
ગીતાપ્રેસના ગ્રંથમાં આ પાઠ મળે છે. પરંતુ ઘણા એવા પાઠ ભેદ છે જે અલગ-અલગ ચોપાઈઓ, દોહાઓમાં મળે છે.અહીં ભાષાંતરમાં પણ તાડનાનો અર્થ શિક્ષા જ લખ્યો છે.હું વેંકટેસ પ્રેસ-જે ઘણું જ પુરાતન ગ્રંથપ્રકાશન છે તેનો પાઠ ભણેલો છું અને એ પાઠ કરું છું તો અહી પાઠ ભેદે ત્યાં લખ્યું છે:
ઢોલ ગંવાર શુદ્ર પશુ નારી;
યે સબ તાડન કે અધિકારી.
તાડનનો સ્પષ્ટ અર્થ છે શિક્ષણ આપવું.તાડના શબ્દ હોય તો સ્પષ્ટ ફટકારવું એવો અર્થ જ આપણે લઈ શકીએ.એવા ઘણા પાઠ મળે છે જેમાં તુલસીજીને નારી નિંદક,બ્રાહ્મણવાદી વગેરે પણ ચીતરવામાં આવ્યા છે.પરંતુ બ્રાહ્મણ ત્રણ દિવસ સુધી સંધ્યા ન કરે,અરે સૂર્યનમસ્કાર ના કરે કે જળ ન ચડાવે તો એ પણ શુદ્ધ સમાન બની જાય છે એવું લખાયું છે. ચાણક્ય એ કહેલું છે કે:
લાલને બહવોદોષા:
તાડને બહવોગુણા:
લાલનપાલન કરવું એ કરવું એ ખૂબ જ દોષ છે અને શિક્ષણ આપવું-તાડન કરવું એ ગુણ છે.તો અહીં પણ ઢોલને વગાડવાનું શિક્ષણ આપવું જોઈએ શિક્ષણની સાથે ઢોલ વગાડવો જોઈએ એ જ રીતે જે ગંવાર છે,અભણ છે એને ભણાવવા જોઈએ, પશુને ટ્રેનિંગ આપવી જોઈએ,ઘોડાને પણ બાંધી રાખવાથી એ બગડી જાય છે,એની ચાલ બગડી જાય છે.આ ગ્રંથ લખાયો એ વખતે મોગલો અને યવનોનું શાસન હતું ત્યારે તુલસીદાસજી સ્ત્રી શિક્ષણ-નારી શિક્ષણ માટેની હિમાયતનું ક્રાંતિકારી કદમ ઉઠાવે છે.નારીને બહાર જવાનો પ્રતિબંધ હતો એ કાળમાં તુલસીજી આ ચોપાઈ લખે છે ત્યાં નારીને શિક્ષણ આપવાની૦ભણાવવાની વાત હોય એવું લાગે છે.ગુજરાતમાં પણ ગાયકવાડ સરકારે સૌપ્રથમ બેટી પઢાવો દીકરીને ભણાવવાની પહેલ કરી અને ગોંડલ ભગવતસિંહજી મહારાજે પણ આ જ પ્રકારના સ્ત્રી શિક્ષણની હિમાયત કરેલી.તો મેં જે પાઠ વાંચ્યો છે ત્યાં તાડન શબ્દ છે.છતાં પણ કયો પાઠ રાખવો કે ન રાખવો એમાં પડવા માગતો નથી.