શક્તિ,ભક્તિ અને શાંતિ પ્રાપ્તિની યાત્રામાં પાંચ વિઘ્નો આવે છે. ભગવંત,સંત,હનુમંતને પણ ભક્તિની ખોજમાં વિઘ્નો આવે છે.

 

આઠમા દિવસે આજે વ્યાસપીઠના ખૂબ જ આત્મીય કેરલનાં રાજ્યપાલ મહામહિમ ગવર્નર સાહેબ આરીફ મહમદખાને પોતાનો સુંદર ભાવ વ્યક્ત કર્યો. બાપુએ પણ કહ્યું કે તેમની સહજતા અને સરળતા દર્શનીય છે અને ભારતના દર્શનોનું વૈશ્વિક સંકલન ખુબ સરસ રીતે વ્યક્ત કરે છે તેની પ્રસન્નતા બાપુએ દર્શાવી.

કથા પ્રવાહમાં નામકરણ સંસ્કારની કથા તેમ જ બાલચરિત્રમાં વિશ્વામિત્ર આવ્યા.યજ્ઞ રક્ષા માટે રાજા પાસે પુત્રોની માગણી કરી.રામની સીતાની પ્રાપ્તિ માટેની આ યાત્રા છે,જોકે બંને એક જ છે પણ સીતાને આપણે અનેક રૂપમાં જોઈએ છીએ જેમ કે: સીતા શક્તિ,ભક્તિ,માયા,શાંતિના રૂપમાં પણ આપણે સમજીએ છીએ.રામની આ શાંતિ,શક્તિ ભક્તિની ખોજની યાત્રામાં પાંચ વિધ્ન આવે છે. આપણા જીવનમાં પણ આપણે આવું કંઈ શોધવા નીકળીએ તો પાંચ વિઘ્ન આવે છે.સૌથી પહેલા તાડકા આવી.તાડકા દુરાશા છે.સારી આશા તો સારી વાત છે પરંતુ દુરાશા ન હોવી જોઈએ.યજ્ઞનો આરંભ થયો એ વખતે મારિચ અને સુબાહુ આવે છે.મારિચ દુઃખ છે,સુબાહુ દોષ છે.મારિચરૂપી દુઃખને દૂર ફેંકી દીધો અને દોષનું નિર્મૂલન કર્યું.આપણા જીવનમાં પણ દુઃખ દૂર થાય અને દોષ નિર્મૂળ થઈ જાય.એ પછી તુલસીદાસજી પણ મંગલાચરણમાં લખે છે કામાદીદોષરહિતમ્ કુરુ માનસમ્

અહલ્યાના ઉદ્ધાર બાદ તેનો સ્વિકાર થયો.સમાજ વિચારક હોય છે,સુધારક પણ હોય છે પણ સ્વિકારક પણ હોવો જોઈએ.ધનુષ્ય યજ્ઞમાં ચોથું વિઘ્ન આવ્યું.અભિમાની રાજાઓ;વિરોધ કરનાર પણ વિઘ્ન બને છે.જયમાળા પહેર્યા પછી પણ એક વિઘ્ન આવ્યું-પરશુરામના રૂપમાં.પરશુરામ એ ક્રોધ અને અહંકાર રૂપી પાંચમું વિઘ્ન છે.આમ શક્તિ ભક્તિ,શાંતિની પ્રાપ્તિમાં પાંચ વિઘ્નો આવે છે. અયોધ્યાકાંડમાં રાજ્યરોહણના પ્રસંગ પછી વનવાસ વનગમન.કેવટનો અનુરાગ અને રામનું વાલ્મિકી સાથેનું મિલન તથા ચિત્રકૂટ નિવાસ.અવધપતિનો પ્રાણત્યાગ.ચિત્રકૂટમાં ભરત મિલનનો પ્રસંગ.ભરત પાદુકા લઈ અને ફરી અવધ આવે છે.જ્યારે ભરત સિતારામની યાત્રામાં જાય છે ત્યાં પણ પાંચ વિઘ્ન આવે છે.સાધકની યાત્રામાં પણ વ્રતભંગ,ગેરસમજ, વિરોધ,પ્રલોભન,દેવીઆપદા અને ખૂબ નજીકની વ્યક્તિનો પણ વિરોધ-એવા વિઘ્ન આવતા હોય છે. અરણ્યકાંડમાં ચિત્રકૂટથી આગળ વધી અત્રિનાં આશ્રમ પછી કુંભજ ઋષિ પાસે આવ્યા,પંચવટીમાં નિવાસ કર્યો;લક્ષ્મણ દ્વારા પાંચ પ્રશ્નો પૂછાયા. સુર્પણખા ખરદૂષણને નિર્વાણ આપ્યા.સીતાનું અપહરણ થયું.સીતા ખોજ માટે નીકળી શબરીને મળી અને અલગ-અલગ દિશાઓમાં ચાર ટુકડીઓને મોકલવામાં આવી અને સીતાખોજના અભિયાનમાં જટાયુનો પ્રસંગ,સુંદરકાંડમાં હનુમાનનાં લંકાગમનમાં પણ પાંચ વિઘ્નો આવ્યા:મૈનાક પર્વતરુપી સ્વર્ણ-પ્રલોભન,વૈભવ,સુરસા અને સિંહિકારુપી રાક્ષસીઓ જે સમંદર જેવા વિશાળનાં પેટમાં પણ ઇર્ષાનાં રૂપમાં નિવાસ કરે છે,લંકીનીરુપી બુધ્ધિ પણ બાધા બને છે જ્યારે સિતારૂપી ભક્તિ-શક્તિ-શાંતિની ખોજમાં સાધક નીકળે છે.અંતે સેતુબંધ રામેશ્વરની સ્થાપના પર કથા વિરામ થયો.આવતિકાલે આ રામકથાની પૂર્ણાહૂતિ છે.

 

Box

અમૃતમંથન:

ભારતને જરુર છે વધુ એક સમુદ્રમંથનની

એક સમયના ભારતમાં પૌરાણિક ગ્રંથોને આધારે એક મંથન થયેલું દેવો અને દાનવોએ સમુદ્રમંથન કરેલું.બાપુએ કહ્યું કે હવેના ભારતને વધુ એક મંથનની આવશ્યકતા છે.બધા જ ક્ષેત્રના મહાનુભાવો સદભાવથી ભેગા થાય.જોકે જે કંઈ થઈ રહ્યું છે એ પણ સારું જ થઈ રહ્યું છે,પરંતુ સમુદ્ર તો રત્નાકર છે ભારત વર્ષ ફરી એક વખત મળે અને કોઈ એવા ૧૪ રત્ન નીકળે,એ જ આપણું દાયિત્વ છે. દિવ્ય ભારતના નિર્માણ માટે,પરમાર્થ માટે મળીએ.આપણી વિચારધારા અલગ હોવા છતાં પણ રાજપીઠ, વ્યાસપીઠ,જ્ઞાનપીઠ,વિદ્યાપીઠ,યોગપીઠ-બધી જ પીઠો મળીને ફરી એવું મંથન કરે.મંથનથી અમૃત નીકળે છે.પણ માત્ર અમૃત જ નહીં,વિષ-ઝેર પણ નીકળે છે.ભારત મૈયાને પ્રાર્થના કરીએ કે નવયુગી મંથનથી વિષ નીકળે તો કોઈ વિષ પીનાર પણ એમાંથી જ નીકળે.કામદુર્ગા રૂપી ગાય નીકળે જે ભારત દ્વારા સમગ્ર વિશ્વની બધી જ કામનાઓ પૂર્ણ કરે.કલ્પતરુની જેમ ભારત વિશ્વનીડમ બને. પારિજાત નીકળે એ કલહનું કેન્દ્ર બનવાને બદલે સૂક્ષ્મ અને સ્થૂળ બંને પ્રકારનો વિકાસ કરી શકે.વિશ્વ આરોગ્ય માટે કોઈ ધનવંતરી અંતરે નીકળે.કોઈ એવો શંખ નીકળે જેના ધ્વનિ સામે મોટા-મોટાનાં ગાત્રો ગળી જાય એવો કોઈ નાદ પણ નીકળે.બાપુએ જણાવ્યું કે અમૃતમંથનથી અપ્સરાઓ નીકળવાનો મતલબ છે નીત નૂતન સૌંદર્ય નીકળે.વારૂણી-મદિરા સ્નેહસુરાના રૂપમાં પ્રગટ થાય એવા પ્રકારના વધુ એક મંથનની સમગ્ર વિશ્વને જરૂર છે.જે ભારત દ્વારા થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *