જગથી નોખી : અનોખી – ભાવિની નાયક.

પોરબંદર ના એક નાનકડા ગામડાના મંદિરમાં આરતી થાય ને અનોખીનું સવાર પડે. અનોખી રાધાકૃષ્ણ મંદિરના પુજારીની એક્નીએક દીકરી. જન્મથી માતાની છાયા ગુમાવી દેનાર આ અનોખીને બાપનો પ્રેમ પણ માપસરનો મળ્યો હતો. અનોખી ને માની કમી ખુબજ સાલતી. કારણકે એક છોકરી જેટલી નજીક મા સાથે હોય એટલી બાપ સાથે ન જ હોઈ શકે. અનોખી ભણવાની સાથે સાથે ઘરના કામકાજમાં પણ ખુબજ હોશિયાર. તેણે કોલેજ પુરી કરી એટલે તેની માટે માંગા આવવાના શરુ થઇ ગયા.
એને કોઈ રાજકુંવર નતો જોઈતો કે નતો જોઈતો કોઈ ધનાઢ્ય પરિવારનો પુત્ર. એને તો એવો છોકરો જોઈતો હતો કે જે એને સમજે. એનો થઈને રહે. પણ આ બધું પુજારીકાકાને કોણ કહે?એ તો પિતા આગળ મૌન જ થઇ જતી. આખરે તેના પિતાએ તેના માટે મુંબઈના યુવાન અભિનીતની પસંદગી કરી. અનોખીએ આભીનીતને જોયો તેની સાથે વાત કરી અને પિતાની પસંદગીને પોતાની પસંદગી માની લીધી.
લગ્ન કરીને અનોખી મુંબઈ આવી. અભીનીત મુંબઈમાં એકલો જ રહેતો હતો. તેના માતાપિતાનું એક કાર અક્સમાતમા અવસાન થયું હતું. એ એક મલ્ટીનેશનલ કંપનીમા ઉંચા હોદ્દા પર હતો. તેને તેનું ઘર સાંભળીને રહે તેવી પત્નીની જરૂર હતી, જે અનોખી રૂપે તેને મળી હતી. તે સવારે જલ્દી જોબમાં જતો રહે ને રાતે મોડો ઘરે પાછો આવે. અનોખી આખો દિવસ ઘરમાં એકલી જ હોય. ક્યારેક અભિનીત એટલો વ્યસ્ત હોય કે અનોખીના ફોન પણ ન લે. રાતે આવીને થાકેલો અભિનીત પડે એવો સુઈ જાય. અનોખીનો દિવસ કેવો રહ્યો એ પૂછવાની તસ્દી તે લે નહિ ને પોતાના દિવસ વિષે અનોખી સાથે વાત કરવાની એને જરૂર ન હતી. આમને આમ દિવસો પસાર થવા લાગ્યા. અનોખીને પોતાનું આલીશાન ઘર હવે makan લાગતું હતું ને એ એ મકાનની નોકરાણી. તે રોજ સાંજે નજીકમાં આવેલા મંદિરે જતી ને ત્યાં થોડી વાર બેસતી. એક વાર મંદિરની સીડીથી તેનો પગ લપસ્યો તે પાડવા જ જતી હતી પણ ત્યાંથી ઉતરતા અર્ણવે તેને પકડી લીધી ને તે બચી ગઇ. અર્ણવને અનોખી પહેલી જ નજરમાં ગમી ગઇ. અનોખીને પૂછતાં અર્ણવને ખબર પડી કે તે અહીં રોજ આવતી. હવે અર્ણવનો પણ એ નિત્ય ક્રમ બની ગયો. બંને રોજ મંદિર મળતા. અર્ણવ અનોખીની ખબરઅંતર પૂછતો. એની સાથે વાત કરતો. જયારે અભિનીત માટે અનોખી માત્ર ઘરનું શૉપીસ હતી. અનોખી ધીરે ધીરે અર્ણવની વધુ નિકટ આવવા લાગી. અર્ણવ એક અનાથ છોકરો હતો ને મુંબઈમાં એક શિક્ષક તરીકે નોકરી કરતો હતો. અર્ણવને અનોખીએ અભિનીત વિષે જાણ કરીને પોતે વિવાહિત છે એમ કહી દીધું હતું. તેમ છતાં અર્ણવને અનોખી માટે એ જ લાગણી રહી.રોજ સાંજે બન્ને મળે દર્શન કરીને ઘણી વાર વાતો કરે ને છુટા પડે.અનોખીને મન અર્ણવ પોતાના મનનો માણીગર બનતો જતો હતો.અભીનીતનું કામનું પ્રેશર વધતું જતું હતું.હવે તે ઓફિસનો ગુસ્સો અનોખી પર કાઢતો હતો.દરેક વસ્તુમાં તેને અનોખીનો વાંક દેખાતો અને તે અનોખી સાથે જગડતો.જયારે અર્ણવ ને ઘા પર મલમ લગાડતો. અભિનિતે તેના ઘરે એક પાર્ટી રાખી તેમાં બધાની સામે તેણે હદ વટાવી અનોખીને ખુબ વડ્યો. તે રાત અનોખીએ વિચારોના વમળોમાં કાઢી. બીજે દિવસે રાતે જ્યારે અભિનીત ઘરે આવ્યો ત્યારે અનોખીની જગ્યાએ તેનો કાગળ હતો. જેમાં લખ્યું હતું.
“અભિનીત મારે પતિમાં પ્રેમી જોઈતો હતો જયારે તમને પત્નીમાં નોકરાણી જોઈતી હતી.પણ નોકરાણી પણ સ્વમાનના ભોગે કામ ન કરે. હું જઇ રહી છું જ્યાં મને પ્રેમ મળશે. તમને તમારા ઘર માટે મારાથી સારી કામવાળી મળી જશે. તમે મને ઘર આપ્યું, કિંમતી દાગીના આપ્યા, મોંઘા કપડાં આપ્યા પણ તમારો સમય તમારો પ્રેમ ન આપી શક્યા. જે મારે જોઈતો હતો. તમને તમારી જિંદગી મુબારક.
લી,
તમારી કહેવાનો હક તમે મને આપ્યો જ નતો એટલે ખાલી અનોખી”
અભીનીતના ઘરમાં ચારેકોર એક સુનકાર છવાઈ ગયો ને અર્ણવના ઘરમાં કંકુપગલા થયા.
આમાં વાંક કોનો ??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *