*કુમકુમ મંદિર ખાતે આજથી અધિકમાસ નિમિત્તે “શ્રી હરિચરિત્રામૃત” કથા યોજાશે.*
*સાધુ પ્રેમવત્સલદાસજી કથામૃતનું પાન કરાવશે.*
સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણિનગર ખાતે પવિત્ર અધિકમાસના પાવન અવસરે “શ્રી હરિચરિત્રામૃત” કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો મંગલ પ્રારંભ તા. ૮ જૂનને સોમવારથી કરવામાં આવશે. આ કથાના વક્તા પદે મોટીવેશનલ સ્પીકર શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી શ્રોતાઓને રાત્રે ૮ – ૩૦ થી ૧૦ – ૦૦ સુધી કથામૃતનું પાન કરાવશે.
આ કથા દરમ્યાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનેક પ્રકારના દિવ્ય લીલા ચરિત્રોનું શ્રવણ કરવા મળશે. ભગવાનના ચરિત્રોમાંથી પ્રેરણાદાયી સમજણ પણ સચોટ અને રસપ્રદ દ્રષ્ટાંતો સાથે પીરસવામાં આવશે, જે આપણા સૌના જીવનને ઉન્નત, સંસ્કારી અને પ્રગતિશીલ બનાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
આ કથામાં વિશેષે કરીને આજની યુવા પેઢી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં યુવાનો અનેક મૂંઝવણો અને પ્રશ્નોથી ઘેરાયેલા હોય છે. આ કથાના માધ્યમથી યુવાનોના મનમાં ઉઠતા પ્રશ્નોના સમાધાન પ્રાપ્ત થશે.
આજના સ્પર્ધાત્મક યુગમાં માનસિક શાંતિ કેવી રીતે મેળવવી? ભણતર અને કેરિયરમાં આવતા અવરોધો સામે મનોબળ કેવી રીતે મજબૂત રાખવું? વ્યસનોથી અને સોશિયલ મીડિયાના વળગણથી મુક્ત થઈને સન્માર્ગે કેવી રીતે ચાલવું? યુવા પેઢી અને વડીલોએ જનરેશન ગેપ કેવી રીતે દૂર કરીને સંપીને રહેવું. આજના આધુનિક યુગમાં ધર્મ અને સંસ્કારનું શું મહત્વ છે? સંસ્કારોને ટકાવી રાખવા માટે સંતો અને મંદિરો શા માટે જરુરી છે ?
આવા તમામ પ્રશ્નોના ખૂબ જ સરળ અને પ્રેરણાદાયી જવાબો વક્તાશ્રી દ્વારા આપવામાં આવશે, જેથી યુવાનોમાં એક નવી ઉર્જા અને સકારાત્મક દ્રષ્ટિકોણનો સંચાર થશે.
આ કથામૃતનો દેશ અને વિદેશના ભક્તો પણ લાભ લઈ શકે તે માટે લાઈવ પ્રસારણ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર કરવામાં આવશે.