નર્મદા જિલ્લામાં ‘વસ્તી ગણતરી-૨૦૨૭’ના પ્રથમ તબક્કાનો પ્રારંભ
તા. ૧ જૂનથી ૩૦ જૂન દરમિયાન ઘર-યાદી અને મકાનોની ગણતરીની કામગીરી હાથ ધરાશે
‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે દેશમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી વસ્તી ગણતરી યોજાશે
જિલ્લામાં ૧૧૦૪ ગણતરીદારો અને સુપરવાઈઝર શહેરો-ગામડાઓમાંથી માહિતી એકત્રિત કરશે
રાજપીપલા,તા 1
ભારત સરકાર દ્વારા આયોજિત વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત પ્રથમ તબક્કાની કામગીરીનો નર્મદા જિલ્લામાં તા. ૧ જૂન, ૨૦૨૬થી પ્રારંભ થયો છે. આ તબક્કા દરમિયાન તા. ૧ જૂનથી ૩૦ જૂન, ૨૦૨૬ સુધી ઘર-યાદી અને મકાનોની ગણતરી કરવામાં આવશે.
આ સમગ્ર કામગીરીમાં નર્મદા જિલ્લાના કુલ ૧૧૫૯ અધિકારી, કર્મચારી અને ગણતરીદારો જોડાયેલા રહેશે. જેમાં ૯૪૪ ગણતરીદારો જિલ્લાનાં શહેરો અને ગામોમાં ઘરે-ઘરે જઈને માહિતી એકત્રિત કરશે. તેમની સાથે 160 જેટલા સુપરવાઈઝર પણ જોડાયેલા રહેશે. તમામ ગણતરીદારો તથા વસ્તીગણતરી સાથે જોડાયેલા તમામ સ્ટાફને સત્તાવાર ઓળખપત્રો અને નિમણૂંકપત્રો આપવામાં આવ્યા છે, જેથી નાગરિકો તેમની ઓળખ સરળતાથી કરી શકે.
જનગણના કામગીરી અંગે કોઈ માહિતી, માર્ગદર્શન અથવા પ્રશ્નો માટે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૫૫ પર સંપર્ક કરી શકાય છે. વધુ માહિતી માટે જનગણનાની અધિકૃત વેબસાઇટ **www.censusindia.gov.in**ની મુલાકાત લેવાની પણ અપીલ કરવામાં આવી છે.
પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ બીજા તબક્કામાં તા. ૯ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૭ દરમિયાન વસ્તી ગણતરી (Population Enumeration) અને જાતિ ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે.
નર્મદા જિલ્લાના નાગરિકોને આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં સહયોગ આપી સાચી અને સંપૂર્ણ માહિતી પૂરી પાડવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપળા