એચ.એ.કોલેજમાં “એક ભારત શ્રેષ્ઠ ભારત” સંદર્ભે વક્તવ્ય યોજાયુ


ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા “એક ભારત શ્રેષ્ઠ ભારત” સંદર્ભે કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે સરદાર પટેલની પ્રેરણા તથા સેવા આજના યુવાનોને દેશ ભક્તી તરફ દોરી જાય છે. ભારતની વિવિધ સંસ્કૃતિ , ઈતિહાસ, પરંપરા તથા ભવ્ય વારસાને જાળવવો ખુબજ જરૂરી છે. દેશના વિકાસની સાથે ભાઈચારાની ભાવના, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની આપલે તથા એકતા ઉભી કરવી જરૂરી છે. કોઇપણ દેશની પ્રગતીનો આધાર તેની સલામતી, શાંતિ તથા સૌહાર્દપૂર્ણ વ્યવહાર હોય છે. દેશના લોકો એક બીજા સાથે જોડાય, તેમના વિચારોની આપલે કરે તથા તેમની ભાષા, બોલી અને જ્ઞાનનું આદાનપ્રદાન કરે. એક ભારત શ્રેષ્ઠ ભારત એ માત્ર સૂત્ર નથી પરંતુ એક આંદોલન છે.. વિશ્વ જયારે યુધ્ધના માહોલમાં જીવી રહ્યું છે ત્યારે ભારતની અખંડિતતા , સંસ્કૃતિ , ભાઈચારો , એકતા તથા બંધુત્વની ભાવના વિશ્વશાંતિની સ્થાપના કરી શકે છે. આ કાર્યક્રમમાં કોલેજના ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો હાજર રહ્યા હતા.