નર્મદામાં રાજકીય ભૂકંપ, ભાજપ-કોંગ્રેસના 1000થી વધુ લોકો AAPમાં જોડાયા
ધારાસભ્ય ચૈતર વસાવા અને દિલ્લીના ધારાસભ્ય અખિલેશ ત્રિપાઠીની હાજરીમાં ભાજપ-કોંગ્રેસના હજારો લોકો AAPમાં જોડાયા
નર્મદા જિલ્લાના ચીકદા ગામે AAPની ભવ્ય પરિવર્તન સભા યોજાઈ, ધારાસભ્ય ચૈતર વસાવાએ આપી હાજરી
2027માં ગુજરાતમાં પરિવર્તન લાવી AAP ની સરકાર બનાવીશું – ચૈતર વસાવા

રાજપીપલા, તા 2
નર્મદા જિલ્લાના ચીકદા ગામે આપ ની ભવ્ય પરિવર્તન સભા યોજાઈ હતી, જેમાંઆપ ના ધારાસભ્ય ચૈતર વસાવા અને દિલ્લીથી આવેલા ધારાસભ્ય અખિલેશ ત્રિપાઠીએ હાજરી આપી હતી. આ સભામાં ભાજપ-કોંગ્રેસના 1000થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા. સાથે સાથે આ સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને આપ ને સમર્થન આપ્યું હતું. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેર સભાને સંબોધન કરતાં આદિવાસી સમાજના હક્કો, વિકાસ અને મૂળભૂત સુવિધાઓના મુદ્દે ભાજપ સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં તેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે અને પાર્ટી આદિવાસીઓના બંધારણીય અધિકારો અમલમાં મૂકવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસીઓના જે બંધારણીય અધિકારો વર્ષોથી કાગળ પર જ રહ્યા છે, તે આમ આદમી પાર્ટીની સરકાર બનતાં ચોક્કસ રીતે જમીન પર અમલમાં મૂકવામાં આવશે. સરકાર બનતાં જ ટ્રાયબલ એડવાઈઝરી કમિટી આદિવાસી સમાજની બનાવવામાં આવશે તેમજ વન અધિકાર કાયદા અંતર્ગત જે પણ લોકોના હક્કો બાકી છે તેમને તેમના હક્કો અપાશે. શિક્ષણ ક્ષેત્રે ગંભીર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં અંદાજે 505 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, જેને આવનારા દિવસોમાં ભરવાનું કામ કરવામાં આવશે. ઉપરાંત, 181 ગામોમાં પ્રાથમિક શાળાઓ નથી, ત્યાં શાળાઓ શરૂ કરી બાળકોને શિક્ષણના અધિકાર આપવામાં આવશે. જિલ્લામાં 1200થી વધુ બાળકો કુપોષણથી પીડાય છે, જેને દૂર કરવા માટે ખાસ યોજના ઘડવામાં આવશે અને બાળકોને કુપોષણમાંથી બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવશે.
યુવાનોના ભવિષ્ય અંગે વાત કરતાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી યુવાનો પોલીસ, IAS, IPS, ડોક્ટર અને શિક્ષક બને તે માટે આમ આદમી પાર્ટી સતત ચિંતિત અને પ્રયત્નશીલ છે. પરંતુ ભાજપ સરકારની તાનાશાહી અને ભેદભાવપૂર્ણ નીતિઓના કારણે આદિવાસી સમાજને યોગ્ય તક મળતી નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર વિકાસની ગ્રાન્ટોનો ઉપયોગ પોતાના પ્રચાર અને કાર્યક્રમો માટે કરે છે. આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આમ આદમી પાર્ટી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા મેળવ્યા વગર આદિવાસી સમાજના પ્રશ્નો ઉકેલવા મુશ્કેલ છે. તેમણે 2027માં સમગ્ર ગુજરાતમાં પરિવર્તન લાવી આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. સાંસદ મનસુખ વસાવાને આડેહાથ લેતા આપ નેતા ચૈતર વસાવાએ જાહેરમાં ચર્ચા અને ડિબેટ માટે તૈયારી દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે વિધાનસભામાં તેમણે અનેક વખત આદિવાસી સમાજના મુદ્દાઓ ઉઠાવ્યા છે, જ્યારે ભાજપના સાંસદે લોકસભામાં આદિવાસી સમાજ માટે શું કર્યું છે તે જનતા સામે સ્પષ્ટ થવું જોઈએ.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ડેડિયાપાડાની જનતાની એકતા અને શક્તિ એવી છે કે આજે દેશના વડાપ્રધાન સહિત રાષ્ટ્રીય સ્તરના નેતાઓને પણ દેડિયાપાડા આવવું પડે છે. આવનારા દિવસોમાં કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોના દિગ્ગજ નેતાઓ પણ દેડિયાપાડા આવશે તેવી માહિતી મળી છે. આ મુદ્દે તેમણે સ્પષ્ટ કહ્યું કે દેશ-વિદેશમાંથી કોઈ પણ નેતા આવે, તેમને કોઈ વાંધો નથી, કારણ કે આમ આદમી પાર્ટી લોકોમાં જાગૃતિ ફેલાવવાનું, લોકોને એક કરવાનું અને લોકોના હક્ક માટે સતત લડવાનું કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે વિધાનસભા હોય, રસ્તા હોય કે મેદાન જ્યાં પણ જરૂર પડે ત્યાં તેઓ જનતાની વાત ઊઠાવે છે, જે ભાજપ સરકારને પસંદ નથી. ભાજપના કેટલાક નેતાઓ અને તેમના સમર્થકો લોકો પર દબાણ લાવવા માટે ફોન કરે છે અને લોકોને ડેડિયાપાડા ન આવવા દેવા માટે પ્રયાસો કરે છે. પરંતુ આ શક્તિ અને હિંમત માત્ર મારી વ્યક્તિગત નથી, પરંતુ મારી સાથે સરપંચો, જિલ્લા પ્રમુખો, ઉપપ્રમુખો, કાર્યકરો, યુવાનો, વડીલો તેમજ માતા-પિતાના આશીર્વાદ જોડાયેલા છે. આ જનસમર્થનના કારણે જ હું એટલી મોટી સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યો છે. મનરેગા સહિતના વિવિધ મુદ્દાઓમાં નામ બદલવાથી સત્ય બદલાતું નથી, એવો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે તેનો જવાબ જનતા આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપશે. તેમણે આદિવાસી સમાજના પરંપરાગત જંગલ અધિકારો અંગે સ્પષ્ટ કહ્યું કે આદિવાસી સમાજ આ જંગલમાં આદિ અનાદિ કાળથી વસે છે અને લાકડું, વાંસ તથા અન્ય જંગલ ઉપર પર તેમનો હક છે. આ મુદ્દે જંગલ ખાતાને ચેતવણી આપતાં તેમણે કહ્યું કે આદિવાસીઓ પર અન્યાય થશે તો તેઓ રસ્તા પર ઉતરશે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા