

જેતલપુર, 11 માર્ચ, 2026: ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને વિ. સ. 2082 ફાગણવદ આઠમ તા. 11-03-2026ના શુભમંગલ દિવસે 200 વર્ષ પૂર્ણ થયાં છે. આ પાવન અવસરના ભાગરુપે શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્યશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા મોટા મહારાજશ્રી પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી ભાવિ આચાર્ય પ.પૂ.108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની તા.05 માર્ચથી તા.11 માર્ચ સુધી ધામધૂમથી ‘અવસર’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના સાત દિવસમાં મોટી સંખ્યામાં હરિ ભક્તો, સ્વયંસેવકો અને મહાનુભાવો એક મંચ ઉપર ઉપસ્થિત રહ્યાં હતાં અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં મૂલ્યવાન યોગદાન આપ્યું હતું.
‘અવસર’ કાર્યક્રમના અંતિમ દિવસે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જેતલપુરધામના 200 વર્ષ પૂર્ણ થવાનો અવસર ખૂબજ ભવ્ય ઉત્સવ છે. આપણે કલ્પના કરીએ કે 200 વર્ષ પહેલાં જ્યારે ભગવાને આ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી હશે તે દિવસ કેવો દિવ્ય અને ભવ્ય હશે. આપણી સનાતન સંસ્કૃતિમાં ભગવાને જ્યાં આચરણ કર્યું હોય, જ્યાં તેમના પગલાં પડ્યાં હોય, જ્યાં તેમણે વિહાર કર્યો હોય, તે દરેક કણને આપણે પવિત્ર માનીએ છીએ ત્યારે અહીં જેતલપુરમાં તો ભગવાને સ્વયં પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. આ મંદિરની ભવ્યતા કંઇક અલગ જ છે.
તેમણે ઉમેર્યું હતું કે, મારી માહિતી મૂજબ સમાજમાંથી કુરિવાજો, અંધશ્રદ્ધામાંથી લોકોને બહાર કાઢવાનું મોટું કાર્ય કોઇએ કર્યું હોય તો તે ભગવાન સ્વામિનારાયણે કર્યું છે. તેમણે સમરસતાનું મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે વિષ્ણુ મહાયોગનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો સાથે બેસીને જમ્યાં હતાં. આજે આપણે તે યાદ કરીએ તો ધન્યતા અનુભવીએ છીએ.
રાષ્ટ્રના વિકાસ વાત કરતાં તેમણે કહ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ રાષ્ટ્રહીત અને સમાજ માટે કંઇ કરી છૂટવાની ભાવના હંમેશા દર્શાવી છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે તેમણે દરેકને સાથે મળીને આગળ વધવા આહ્વાન કર્યું હતું.
શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના 200 વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમ ‘અવસર’નું સફળ સમાપન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ.