ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા “સંસ્કૃત ભાષાની સંરચના” વિષય ઉપર વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે જી.બી.શાહ કોલેજના પ્રિન્સીપાલ વસંત જોષીએ કહ્યું હતુ કે સંસ્કૃત ભાષા એ ભારતની બધીજ ભાષાઓની જનની છે. ઋષીઓની ભાષા સંસ્કૃત દેશની રાષ્ટ્રભાષા હોવી જોઈએ.સંસ્કૃત ભાષાની ભવ્યતા સદીઓથી અકબંધ છે. તેના સાહિત્યની મહત્તા આજે પણ છે. સંસ્કૃત ભાષા શીખવી સરળ છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે જો આપણે સંસ્કૃત ભાષા નથી જાણતા તો આપણે વેદો,પુરાણો ,ઉપનીષદો, રામાયણ તથા મહાભારત સારી રીતે સમજી શકતા નથી. વિશ્વની કોઈપણ ભાષા શીખવી હોય તો પણ પ્રથમ સંસ્કૃત ભાષા શીખવી જરૂરી છે. સાયન્ટીફીકલી સંસ્કૃત ભાષાની ઉત્પત્તી થઇ છે. ભારતીય સંસ્કૃતીને ઉજાગર કરતી આપણી ઋષીઓની ભાષાનું સંવર્ધન કરવુ ખુબજ આવશ્યક છે.સંસ્કૃત ભાષા તથા સાહિત્યનો પ્રચાર અને પ્રસાર કરવાથી દેશને એકસૂત્રતાથી બાંધી શકાય છે. કોલેજના સ્ટડી સર્કલના કોઓર્ડીનેટર પ્રા.પાયલ ત્રીવેદીએ આ વર્કશોપનું સંચાલન તથા આયોજન કર્યું હતુ. આ કાર્યક્રમમાં ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.