ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનો ૬૭મો વાર્ષિક ઇનામવિતરણ સમારોહ તથા ફાઈનલ ઈયરના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં વર્ષ દરમ્યાન જે વિદ્યાર્થીઓ એન.એસ.એસ, એન.સી.સી, સ્પોર્ટ્સ તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સિધ્ધીઓ પ્રાપ્ત કરી હોય તેવા ૧૭૬ વિદ્યાર્થીઓને મેમેન્ટો તથા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત યુનિવર્સિટી પરીક્ષામાં જે વિદ્યાર્થીઓએ રેન્ક મેળવ્યો હતો તે બધાને શીલ્ડ આપી બહુમાન કર્યું હતુ. આ સમારંભના મુખ્ય મહેમાન તથા શહેરના જાણીતા બિલ્ડર તરલ બકેરીએ કહ્યું હતુ કે આજના સોશીઅલ મિડીયા તથા ટેકનોલોજીના યુગમાં સ્કીલ બેઝડ બીઝનેશ શરૂ કરીને સખત પરિશ્રમથી સેટ થઇ શકાય છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે જનરલ નોલેજનું જ્ઞાન, વાંચન, લેખન તથા પરિસંવાદોમાં ભાગ લેવાથી આત્મવિશ્વાસપૂર્વક જીવનનું લક્ષ નક્કી કરી શકાય છે. પોતાની ક્ષમતા તથા આવડતના સુભગ સમન્વયથી જીવનમાં સફળતા હાંસલ કરી શકાય છે. કોલેજના વિદ્યાર્થીઓએ ૩ વર્ષના અભ્યાસના અંતે પોતાના સકારાત્મક અભિપ્રાયો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ રાસ, ગરબા, ફિલ્મીગીતો તથા નૃત્ય રજૂ કર્યું હતુ. આ સમારંભનું સંચાલન તથા આયોજન પ્રા.પાયલ ત્રિવેદી, પ્રા.મહેશ સોનારા, પ્રા.એચ.બી.ચૌધરી તથા મહેન્દ્ર વસાવાએ કર્યું હતુ. આ કાર્યક્રમમાં પાંચસોથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.