કુમકુમ મંદિર ખાતે અષાર સુદ એકાદશી થી ચાતુર્માસ નો પ્રારંભ કરવામાં આવ્યો. સંતો હરિભક્તોએ વિશેષ નિયમો ગ્રહણ કર્યા.
*નિયમોએ બંધન નથી પણ સુરક્ષાની ગેરંટી છે, જે નિયમમાં રહે છે, એનું જીવન સુખમય બને છે. – સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*
સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે
અષાઢ સુદ એકાદશી ચાતુર્માસનો પ્રારંભ થતો હોવાથી સંતો હરિભક્તોએ શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ ચાતુર્માસ નિમિત્તે વિશેષ નિયમો ધારણ કર્યા હતા.
આ ચાતુર્માસ દરમિયાન સંતો ૧૭ થી વધુ નકોરડા ઉપવાસ અને એકટાણા કરશે. આજે ઘણા સત્સંગી હરિભક્તો અને શ્રી મુક્તજીવન ગુરુકુળના વિદ્યાર્થીઓએ નકોડો એકાદશી નો ઉપવાસ કર્યો હતો. અને ભગવાન સમક્ષ ધ્યાન – માળા કીર્તન – વચનામૃત – શ્રી અબજી બાપાશ્રી ની વાતો ના પઠન કરવાના વિશેષ નિયમો ધારણ કર્યા હતા.
આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જીવનમાં સૌને સુખી થવું છે, પરંતુ સુખી થવા માટે ભગવાનના નિયમો અવશ્ય પાળવા જોઈએ. ઘણાને એવું લાગે કે નિયમો એટલે બંધન, નિયમો એટલે આપણી સ્વતંત્રતા પર કાપ! પણ ના, વાસ્તવમાં નિયમ એ બંધન નથી, પણ આપણી સુરક્ષાની ‘લક્ષ્મણ રેખા’ છે. જે નિયમમાં રહે છે, એનું જીવન સુખમય બને છે.

રોડ પર ગાડી ચલાવતી વખતે જ્યારે ‘લાલ લાઈટ’ થાય, ત્યારે આપણી ગાડી આપોઆપ થંભી જાય છે. એ લાલ લાઈટ આપણી સ્પીડને રોકવા કે આપણને હેરાન કરવા માટે નથી હોતી, પણ આપણને સુરક્ષિત રીતે આપણા ઘરે પહોંચાડવા માટે હોય છે.
જો નદી પોતાના કિનારાના નિયમો તોડી નાખે, તો પૂર આવે અને ચારેય તરફ વિનાશ સર્જાય છે. જે કિનારો છોડે છે, તે નદી પૂર બને છે, અને જે નિયમ છોડે છે, તે માણસ ક્રૂર બને છે. જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ચોક્કસ નિયમથી ચાલે છે, તો માણસ નિયમ વગર કેવી રીતે સુખી થઈ શકે?
જેમ એક પતંગ દોરી સાથે બંધાયેલી હોય ત્યાં સુધી જ આકાશની ઊંચાઈઓ સર કરી શકે છે. જો પતંગ એમ વિચારે કે આ દોરી મને રોકી રહી છે અને એ દોરી તોડી નાખે, તો એ પતંગ થોડીવાર પવનમાં લહેરાશે ખરી, પણ અંતે તો કોઈ કચરાના ઢગલામાં કે ઝાડની ડાળી પર ફાટીને જ પડશે. દોરી વિનાની પતંગ અને નિયમ વિનાની જિંદગી, ગમે તેટલી ઊંચી ઊડે, પણ અંતે તો પતન જ પામે છે. જીવનમાં સફળતાના ઉચ્ચ શિખરો પર ટકી રહેવા માટે નિયમરૂપી દોરી સાથે બંધાયેલા રહેવું અનિવાર્ય છે.