*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમરેલી જિલ્લાના રાજુલા મુકામે નિર્મિત ૧૦૦ બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ‘મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર’નું લોકાર્પણ*
૦૦૦૦૦૦૦
*આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં હોસ્પિટલનો શુભારંભ*
૦૦૦૦૦૦૦
:- *મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલની વિવિધ સેવાઓનું નિરીક્ષણ કરી અને પંથકના નાગરિકોના નિરામય ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી*
:- *હોસ્પિટલમાં ઓ.પી.ડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનેકોલોજી, સર્જરી, બાળરોગ સહિત આશરે ૧૦ જેટલી મલ્ટી સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ થશે*
:- *રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા દર્દીઓને સંપૂર્ણ નિ:શુલ્ક સારવાર મળશે*
૦૦૦૦૦૦૦
*અમરેલી, તા. ૧૩ મે, ૨૦૨૬ (બુધવાર) :* રાજુલા પંથકના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ સુવિધા પ્રાપ્ત થઈ છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજુલા મુકામે “મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર”નું લોકાર્પણ કરવામાં કરવામાં આવ્યું હતું. રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત આ ૧૦૦ બેડની નિઃશુલ્ક હોસ્પિટલ રાજુલા સહિત આસપાસના વિસ્તારોના નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં હોસ્પિટલનો શુભારંભ થયો હતો.
આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલમાં ઓ.પી.ડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનેકોલોજી, સર્જરી સહિત આશરે ૧૦ જેટલી મલ્ટી સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ હોસ્પિટલ શરૂ થતાં રાજુલા પંથકના દર્દીઓને સારવાર માટે દૂરના શહેરોમાં જવાની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે અને સ્થાનિક સ્તરે જ સમયસર અને ઉત્તમ સારવાર મળી શકશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ હૉસ્પિટલના આઈ.સી.યુ, ટ્રોમા સેન્ટર, ઓપરેશન થિયેટર, ડાયાલિસિસ સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કરી અને સેવાઓ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ સેવાઓ રાજુલા પંથકમાં શરૂ કરવા બદલ સંસ્થાના ટ્રસ્ટી અને સ્થાપક સભ્યશ્રી રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશભાઈ ડેરને અભિનંદન આપતા સર્વે ટ્રસ્ટીશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુની પ્રરેણાથી મૂળ રાજુલાના ઉદ્યોગપતિ શ્રી અનિલકુમાર નંદલાલ મહેતાના દ્વારા રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૧૯માં “મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર”ની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં ઓ.પી.ડી. અને ડાયાલીસીસ જેવા વિભગોમાં પ્રતિદિન દરરોજ ૧૦૦ દર્દીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવતી હતી, જેના થકી આ યોજનાનો પાયો નંખાયો હતો.
વર્ષ ૨૦૧૯માં ૦૩ ઓક્ટોબરના રોજ આ હૉસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ હૉસ્પિટલની સંપૂર્ણ સેવાઓ આગમી ટૂંક સમયમાં શરૂ થશે, જ્યારે ઓ.પી.ડી સહિતની કેટલીક સેવાઓ ગુરૂવારથી શરૂ થશે. હૉસ્પિટલમાં લેબોરેટરી, મેડિકલ સ્ટોર અને ભોજનાલય જેવી સેવાઓ પણ આપવામાં આવશે.
દાતાઓના સહયોગથી નિર્મિત આ હૉસ્પિટલ માનવસેવાના ઉત્તમ સંકલ્પનું પ્રતિક બની રહેશે. રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવેલ આ સેવા કાર્યથી આ વિસ્તારના હજારો પરિવારોને સીધો લાભ મળશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનું સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી અંબરીશભાઈ ડેર, શ્રી અજયભાઈ મહેતા, દાતાઓ શ્રી માયાભાઈ આહીર સહિત રાજુલાના રહેવાસીઓએ હોસ્પિટલના પ્રાંગણમાં અભિનંદન કર્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, રાજુલા જાફરાબાદ મતવિસ્તારના ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી, સાવરકુંડલા લીલીયા મતવિસ્તાર ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જાડેજા, એ.એસ.પી.શ્રી જયવીર ગઢવી, સ્થાનિક અગ્રણીશ્રીઓ, તબીબો તેમજ હોસ્પિટલના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*જય ૦૦૦૦૦૦૦૦૦*