સવારે પાંચ વાગ્યામાં ઉઠી ગયેલું બાળક ત્રણ- ચાર વાગે ઘેર આવે અને એ પછી પણ શાંતિ ક્યાં? -હિમાદ્રી આચાર્ય દવે.

બાળકો અડધા ઊંઘતા કરમાયેલાં, સવારે છ-સાડા છ વાગ્યામાં સ્કૂલ બસ આવે. પાંચ વાગ્યામાં રાંધેલી રસોઈ જે ઠંડીગાર થઈ ગઈ હોય તે 10-11 વાગે રિસેસમાં ખાય. સવારે આટલું વહેલું બનાવવું શક્ય ન લાગે એવી ઘણી માતાઓ મોટાભાગે રાત્રે બનાવી રાખે એટલે બાળકોએ ઠંડુ ને પાછું વાસી ખાવાનું!

સવારે પાંચ વાગ્યામાં ઉઠી ગયેલું બાળક ત્રણ- ચાર વાગે ઘેર આવે અને એ પછી પણ શાંતિ ક્યાં? જમીને ફટાફટ એક બે જાતના ક્લાસમાં જવાનું, વળી ભણવાનું ટ્યુશન… એ બધું પતાવતાં સાત-આઠ વાગી જાય અને એ પછી સ્કૂલમાં આપેલું હોમવર્ક, પ્રોજેકટ, એસાઈનમેન્ટ, પ્રેઝન્ટેશન વગેરે વગેરે કંઈક કામ કરવાનાં! પ્રોજેક્ટસનું તો એવડું મોટું તુત છે કે એ બનાવવાના આનંદ કરતાં ય વધુ એ કેમ પૂરું કરીશ એનો ભાર બાળક પર રહે છે. જે પ્રવૃત્તિ હળવાશ સાથે જે- તે વિષયને સમજવા માટેની છે એ પ્રવૃત્તિ ખુદ બોજ બની રહી છે. વળી, સ્કૂલનું મોટું નામ હોય પણ શિક્ષણની પેટર્ન તદ્દન અવ્યવહારુ હોય!

આટલો વર્કલોડ અને ઉપરથી મા-બાપની સતત ઊંચા રિઝલ્ટની અપેક્ષા! પોતાનું બાળક બધી કળાઓમાં અને ભણતરમાં પારંગત હોવું જ જોઈએ એવાં મા-બાપના આગ્રહનો ભાર બાળકની કુણી પીઠ પર હોય. બીજું, સ્કૂલમાં પણ હોશિયાર વિદ્યાર્થીઓના માનપાન અને એવરેજની ઉપેક્ષા થતી હોય ત્યારે…

આટલી વિષમતા વચ્ચે જીવતું બાળક શારીરિક થાક તેમજ માનસિક તણાવનો ભોગ ન બને તો જ નવાઈ!

મારી દીકરી સ્કૂલમાં હતી ત્યારે વારંવાર એ કહેતી કે આજે ચાલુ પ્રાર્થનાએ કે ક્લાસરૂમમાં પેલો/પેલી બેહોશ થઈ ગઈ! આજકાલ સ્કૂલમાં ચક્કર આવતાં પડી જવાના, બેહોશ થઈ જવાના કિસ્સાઓ વારંવાર બને છે. અને ક્યારેક તો એથી પણ વધુ ગંભીર ઘટના બને છે ત્યારે બાળકોને થતી હાડમારી/થાક અને પરફેક્શનના મા બાપના આગ્રહથી થતું મેન્ટલ ટોર્ચર, આ વિશે જાગૃતિ કેળવવી રહી.

આ મુદ્દે એકલદોકલ પેરેન્ટ્સની રજુઆત કે વિરોધથી કંઈ પરિણામ ન આવે. બીજું, પોતાના બાળકને એકસાથે બધું શીખવી દેવાની ઘેલછા બાબતે ભલે કંઈ ન કરી શકે પણ એટલીસ્ટ સ્કૂલના સમય/સ્કૂલના સમય બાદ સ્કૂલમાં થતી ઉત્તર પ્રવૃત્તિ/અને માપસરના સિલેબસિસ અંગે તો પુરી સિસ્ટમ અને ખાસ કરીને સરકારે આ મુદ્દાને ‘બાળ કલ્યાણ’ ના સંદર્ભે કંસિડર કરીને, ચુસ્ત નિયમાવલી બનાવવી જોઈએ. પણ સ્કૂલના સંચાલકોને ખુશ રાખીને પોતાની ધારી ફેવર મેળવનારા નેતાઓ અંગત લાભની વાત જતી કરીને જનકલ્યાણ કે પબ્લિક વેલનેસ વિશે વિચારે એ ભારત માટે સ્વપ્ન સમી વાત છે.

*હિમાદ્રી આચાર્ય દવે*

Posted in All