*દેશ-કાળ બદલાશે પણ વ્રત-નિયમ નહીં.*
*મણિનગર કુમકુમ મંદિરના સંતો લંડન પ્રવાસ પૂર્વે ૧૫ દિવસ વહેલા ‘ધારણા-પારણા’નું કઠોર વ્રત શરૂ કરશે.*
*૧૧ જુલાઈ જેઠ વદ એકાદશીએ ભગવાનને વિશિષ્ટ શણગાર અને મહાઆરતી સાથે વ્રતનો પ્રારંભ થશે.*
*વિદેશ યાત્રા દરમિયાન પ્લેનમાં સંતો જળનો પણ ત્યાગ કરી ‘નકોડા ઉપવાસ’ની મર્યાદા પાળશે.*

*સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ ૧૯૪૮માં વિદેશ પ્રવાસ કરનાર સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પરંપરા આજેય અકબંધ.*
સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિયમ, ધર્મ અને સનાતન સંસ્કૃતિની પરંપરાઓનું પાલન હંમેશાં સર્વોપરી રહ્યું છે. શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર મંદિરના સંતો આ વર્ષે લંડન(વિદેશ)ની ધર્મયાત્રાએ જઈ રહ્યા હોવાથી, વિદેશ પ્રવાસની વ્યસ્તતા વચ્ચે પણ વ્રતમાં સહેજ પણ ખામી ન આવે તે માટે સંતોએ એક પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. સામાન્ય રીતે અષાઢી સુદ એકાદશીથી શરૂ થતું ચાતુર્માસનું વિશેષ ૧૫ દિવસનું ‘ધારણા-પારણા’નું વ્રત આ વર્ષે સંતો ૧૫ દિવસ વહેલું એટલે કે, આગામી ૧૧ જુલાઈ, જેઠ વદ એકાદશીથી શરૂ કરશે. આ અંગેની વિગતવાર માહિતી કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ આપી હતી.
૧૧ જુલાઈએ વિશિષ્ટ શણગાર અને મહાઆરતી સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, વ્રતના પ્રારંભ નિમિત્તે ૧૧ જુલાઈના રોજ સવારે ૮:૦૦ વાગ્યે કુમકુમ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ અને ભવ્ય શણગાર ધરાવવામાં આવશે અને ત્યારબાદ સવારે ૮:૦૦ વાગ્યે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં હરિભક્તો લેશે.
ચાતુર્માસના નિયમો અને ગુરુપૂર્ણિમા મહોત્સવ ૨૫ જુલાઈથી શરૂ થતા પવિત્ર ચાતુર્માસ અંતર્ગત સંતો અને હરિભક્તો વિશેષ નિયમો ગ્રહણ કરશે. ત્યારબાદ, ૨૯ જુલાઈએ કુમકુમ મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભારતમાં ઉત્સવ મનાવ્યા બાદ, ૩૦ જુલાઈના રોજ સંતો લંડન જવા માટે પ્રસ્થાન કરશે અને ૧લી ઓગસ્ટે લંડનની ભૂમિ પર પણ ગુરુપૂર્ણિમાની દિવ્ય ઉજવણી કરવામાં આવશે.
વિમાન પ્રવાસમાં ‘નકોડા ઉપવાસ’ની કઠોર મર્યાદા સંતોની નિયમ-ધર્મ પ્રત્યેની દ્રઢતાની વિગત આપતા સાધુ પ્રેમવત્સલદાસજીએ ઉમેર્યું કે, કુમકુમ મંદિરના સંતો જ્યારે પ્લેનમાં મુસાફરી કરે છે ત્યારે સાધુતાની પરંપરા મુજબ સંપૂર્ણ ‘નકોડો ઉપવાસ’ કરે છે. ૩૧ જુલાઈના રોજ અમદાવાદથી રવાના થયા પછી લંડન પહોંચવા સુધીના સમગ્ર પ્રવાસ દરમિયાન સંતો અન્ન તો ઠીક, પણ પાણીનો એક ઘૂંટડો પણ ગ્રહણ કરતા નથી. લંડન પહોંચ્યા બાદ જ સંતો પારણા કરશે.
૧૯૪૮થી શરૂ થયેલી વિદેશ પ્રચારની ઐતિહાસિક પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં જ્યારે કોઈ સંતો વિદેશની ભૂમિ પર ગયા ન હતા, ત્યારે કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અને તેમના ગુરુ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ઈ.સ. ૧૯૪૮માં સૌપ્રથમવાર વિદેશ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ત્યાર પછી જ સંપ્રદાયના અન્ય સંતો વિદેશ જતા થયા છે. એ જ ઐતિહાસિક પરંપરાને કુમકુમ મંદિર આજે પણ આગળ ધપાવી રહ્યું છે.