સંગત અને પંગત ક્યારેય બંધ ન કરતા.
ભક્તિ પ્રેમ પ્રીતિ અને સૌભાગ્ય અભંગ રહે એ માટે આયુધ નહીં સુ-દર્શનની જરૂર છે.
સત્સંગથી શઠ સુધરે છે,ખલ સુધરતો નથી.
રામકથાનો બીજો દિવસ,શ્રી ક્ષેત્રની વ્યાસપીઠ સામે એકીટશે રાહ જોઈને બેઠેલા શ્રોતાઓ સામે વિલંબિત લયમાં સહજ રામસ્તુતિ બાદ બાપુનો સજળ મધુર અવાજ- બાપ! અને પ્રગટ-અપ્રગટ ચેતનાઓને પ્રણામ કરી બાપુએ કહ્યું કે રામચરિત માનસમાં પ્રીતિ,પ્રેમભક્તિ તેમજ સૌભાગ્ય-સુહાગની માંગ ચાર અભંગ શબ્દ દ્વારા તુલસીએ કરી છે.એક અભંગુ શબ્દમાં ખલના સ્વભાવની વાત કરી છે. સત્સંગથી શઠ સુધરે છે,ખલ સુધરતો નથી.ખલનો મલિન અભંગ સ્વભાવ છે,કાગડો ગમે એટલું સાચવવા છતાં અભક્ષ ભક્ષણ બંધ કરતો નથી.આ ચાર સ્તંભ છે.તુકારામ પણ આ જ ચારની માગણી કરે છે.મારી પ્રીતિ,મારો અનુરાગ-પ્રેમ,મારી ભક્તિ અભંગ બને અને આપને શ્રેષ્ઠ સમજીને આપનું વરણ કર્યું એવો મારો સુહાગ-સૌભાગ્ય અખંડ બને. બાપુએ કહ્યું કે પ્રીતિ પ્રેમ અનુરાગ આ પર્યાયવાચી શબ્દ હોવા છતાં તેના અલગ અર્થ નીકળે છે.અમૃત ‘ઘાયલ’ કહે છે શબ્દ વિશે કે શબ્દ આયુધ-શસ્ત્ર છે. જો કે આયુધ સાથે મારે બનતું નથી,જ્યાં સુધી જરૂર હતી,આતતાઈઓને નાશ કરવા માટે ત્યાં સુધી બરાબર છે.અધ્યાત્મમાં શસ્ત્રનું શું પ્રયોજન?મીરાએ પ્રેમ કર્યો ગોવિંદને,હથિયાર નથી ઉઠાવ્યું.તુકારામે પાંડુરંગને પ્રેમ કર્યો ત્યારે કરતાલ ઉઠાવી છે. ભક્તિમાર્ગમાં સુ-દર્શન જરૂરી છે.તુકારામ કહે છે હે વિઠ્ઠલ! તું ઈંટો ઉપર ઉભો છે ખૂબ જ સુંદર લાગે છે, તું સુંદર દેખાય છે અને એ અભંગ ભક્તિ ભાવ પૂર્વક ગવાયું.
ભક્તિ પ્રેમ પ્રીતિ અને સૌભાગ્ય અભંગ રહે એ માટે આયુધ નહીં સુ-દર્શનની જરૂર છે.અને એટલે જ મૂર્તિપૂજાની જરૂર છે.તમારે સ્વરૂપનો બોધ કરવો હોય તો મૂર્તિની જરૂર નથી,પણ રૂપના બોધ માટે તો મૂર્તિ જોશે જ.ભક્તિમાર્ગના રણાંગણમાં આયુધ વગર જીતી શકાય છે.એ માટે સૌથી પહેલા પ્રાણની ગતિ ધીરી કર!જગતગુરુ શંકરાચાર્ય તેમજ જગતગુરુ તુકારામના વિચારો મળતા જણાય છે. શંકરાચાર્ય કહે છે કે પ્રાણની ગતિ ધીરી કરતા ન ફાવે તો સત્સંગ કર!તુકારામ કહે છે મારું પ્રારબ્ધ ક્રિયમાણ,સંચિત- કર્તવ્ય બધું જ હે વિઠ્ઠલ તું જ છો. આ અભંગ શરણાગતિ છે.સત્સંગ ન હોય તો ધીરે ધીરે પરમાત્માના ચરણોમાં પ્રીતિની દ્રઢતા વધારો મન બદલશે.એ જ માર્ગ તુકારામે લીધેલો છે.પ્રેમ રૂહથી મહેસુસ કરો એને નામ ન આપો.નારદે જીવનભર આ કર્યું અને અંતે માંડ મુશ્કેલીથી છ સૂત્રો આપ્યા છે.ભક્તિને અભંગ કરવી હોય,પરમાત્માને વિશેષ રૂપે પ્રસન્ન કરવો હોય તો કંઈક કામ કરવું પડશે.સંગત અને પંગત ક્યારેય બંધ ન કરતા.આ અન્ન નહીં બ્રહ્મ પીરસાઈ રહ્યો છે.ગુરુનાનક પણ કહેતા સંગત કરો અને પંગત કરો.ભગવત કથામાં કોઈનો એક પૈસો પણ વ્યર્થ નથી જતો પૈસાની આ જ સાર્થકતા છે.આપણે ત્યાં ત્રણ શબ્દ છે:બ્રહ્મર્ષિ દેવર્ષિ અને રાજર્ષિ.બ્રહ્મર્ષિ કે જે ચિંતન મનન કરે છે મૌલિક ચિંતન મનન કરી અને જગતને બતાવે છે. વિધ્વતા વિભુને મેળવવા માટે છે જગતને બતાવવા માટે નહીં.વૈરાગ્ય સ્થાયી ભાવ નથી તેમાં ચડ-ઉતર આવે છે,ત્યાંથી પતન થાય તો ખૂબ જ ખરાબ લાગે છે.ત્રણ પ્રકારનો વૈરાગ્ય હોય છે:ધન વૈરાગ્ય,સત્તા વૈરાગ્ય અને કામ વૈરાગ્ય.ધન વૈરાગ કદાચ કાળક્રમે આવે.સત્તા વૈરાગ બહુ જ મુશ્કેલ છે.અન્ય ઉપર મારો કબજો કરવો એ સત્તા છે.સત્તા શબ્દ આવે એટલે પાછળ પાછળ ખટપટ આવે છે.ધર્મસત્તા,રાજસત્તા બધામાં આ જ દેખાય છે. સત્તા કંટ્રોલ કરવા માંગે છે.ધર્મસત્તા નહીં ધર્મસત હોવું જોઈએ.ખટપટ પછી છળ કપટ આવે,અશાંતિ આવે અને કંઈ જ મળતું નથી.સત્તાનો વૈરાગ કદાચ મજબૂરીથી આવી પણ શકે પણ કામ વૈરાગ ખૂબ જ મુશ્કેલ છે.રાજર્ષિ એટલે ધનવાન- ધન મેળવવું એનો અધિકાર છે.પણ એ સમાજની છેલ્લામાં છેલ્લી વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ એ અભંગ ભક્તિ છે. દેવર્ષિ પરમાત્માને સંદેશ કીર્તન કરતા-કરતા ગામ- ગામ અને ઘર-ઘર સુધી જાય છે અભંગ ભક્તિ પ્રાપ્ત કરે છે.નારદ દેવર્ષિ હતા જનક રાજર્ષિ હતા. તુકારામની અભંગ રચનાઓમાં જગતભરની સાત સમસ્યાઓના જવાબ મળતા હોય એવું દેખાય છે.
વ્યાસપીઠ પર અભંગનું કીર્તન આરંભાય છે અને વારકરિ સંપ્રદાયના અનેક બાળકો વ્યાસપીઠ ઉપર આવી અને સામૂહિક લયમાં નૃત્ય કરી અને ખૂબ જ દિવ્ય વાતાવરણની અનુભૂતિ કરાવે છે.
આપણી બધાની સાત સમસ્યા છે:શારીરિક,માનસિક,પારિવારિક,સામાજિક,ધાર્મિક, આધ્યાત્મિક અને આકસ્મિક સમસ્યા.એક ચોથા ઋષિને હું જોડી રહ્યો છું એ છે પ્રેમર્ષિ.જે ત્રણેય કામ કરે છે:બ્રહ્મવિચાર પણ કરશે એની પાસે જે કંઈ આવશે એ લૂંટાવી દેશે,ભેગુ નહીં કરે અને ઘટ-ઘટ, ઘરે-ઘરે જઈને કામ કરશે જેથી ભક્તિ અભંગ રહે. અભંગનું તુલસી પત્ર ન પડે ત્યાં સુધી વિઠ્ઠલનાથ ભૂખ્યા રહે છે.આપણી ભક્તિ પ્રીતિ પ્રેમ અને સુહાગ અભંગ રહે એ માટે ત્રણ કામ કરો:ભજ લે રામ, ગા લે રામ,સુન લે રામ.
સુંદરતે ધ્યાન ઊભે વિટેવરિ;કર કટાવરિ ઠેવોનિયાં
તુલસિ હાર ગળા;કાંસે પીતાંબર,
આવડે નિરંતર તેંચિ રૂપ.
મકરકુંડલે તળપતી શ્રવણી;કંઠી કૌસ્તુભમણિ વિરાજિત.
તુકા મ્હણે માંઝે હૈંચિ સર્વસુખ,
પાહિન શ્રીમુખ આવડીંને.
સતસંગથી શઠ સુધરે પણ ખલ ન સુધરે.
શબ્દ એ કૃષ્ણનું ચક્ર,બાણ રધુનાથનું આયુધ નહિ,ઔષધ છે.
વૈરાગ્ય સ્થાયીભાવ નથી,ડામાડોળ રહે છે.
ધનવૈરાગ,સત્તાવૈરાગ,કામવૈરાગ મુશ્કેલ છે.
અધ્યાત્મમાં શસ્ત્રનું શું પ્રયોજન?ભક્તિમાર્ગમાં સુ-દર્શન જરુરી છે.
ભક્તિ મારગનું રણાંગણ આયુધ વગર જીતાય છે.
તુકારામની શરણાગતિ અભંગ છે.
વિઠ્ઠલ!મારું પ્રારબ્ધ પણ તું,કર્તવ્ય પણ તું-તુકારામ.
સંગત અને પંગત કોઇ’દિ બંધ ન કરતા.
ઉધાર સ્વભાવમાં ન જીવાય.
વિદ્વતા જગતને બતાવવા નહિ,વિભૂને પામવા માટે હોય છે.
જગતભરની સાત સમસ્યાઓ છે.
ઘર છોડવાની વાત હોત તો છોડી બતાવત
ઘર ફૂંકવાની વાત છે કબીરની જેમ
-અમૃત’ઘાયલ’
ભજ લે રામ,ગા લે રામ,સુન લે રામ.