કુમકુમ મંદિર ખાતે ભગવાનને ચંદનના શણગાર કરવામાં આવ્યા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કુમકુમ મંદિર ખાતે ભગવાનને ચંદનના શણગાર કરવામાં આવ્યા.

ચંદનના શણગારથી ભગવાનને એ.સી. કરતાં પણ વધુ ઠંડક પ્રાપ્ત થાય છે – સાધુ પ્રેમવત્સલદાસજી

તા. ૩ મે ને મંગળવાર – અખાત્રીજના રોજ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાગત અનુસાર વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

અખાત્રીજથી ચંદનના વાઘા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધરાવવામાં આવે છે તે અંગે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – ના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનને અખાત્રીજના દિવસે ૩ કિલો ચંદનમાંથી વાઘા ધરાવવામાં આવ્યા હતા.આ વાઘા ધરાવવાથી ભગવાનને એરકન્ડીશન કરતાં પણ વધુ ઠંડક પ્રાપ્ત થતી હોય છે અને વાઘા ધરાવ્યા બાદ આ ચંદનનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ થાય, તથા ભગવાનનો સ્પર્શ થયેલ ચંદન દરેકને પ્રાપ્ત થાય એટલા માટે આ ચંદનના વાઘામાંથી ચંદનની ગોટીઓ બનાવવામાં આવે છે અને તે ભક્તોને આપવામાં આવે છે.તે ગોટીમાંથી ભક્તો નિત્ય ચંદન ઘસીને પોતાના કપાળે લગાવે છે અને તિલક કરે છે.અને તિલક ચાંદલો એ સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રતિક છે.તિલક ચાંદલો જોઈને જ ખબર પડી જાય કે,આ સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી છે. તિલક એ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રતિક છે અને ચાંદલો એ અનાદિમુક્તનું પ્રતિક છે.
આમ,ચંદનના વાઘા જે ભગવાનને ધરાવામાં આવે છે તેનો નિત્ય સદ્‌ઉપયોગ કરવામાં આવે છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે સ્વયં વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના ર૩મા વચનામૃતમાં કહ્યું છે કે,ઋતું અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઈએ.
તેથી ઉનાળો આવે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત મળે અને ઠંડક પ્રાપ્ત થાય તે માટે ભગવાનને ઝીણા વસ્ત્રો ધરાવવા જોઈએ અને ભગવાનની આગળ એરકંડીશન મૂકવામાં આવે છે.પરંતુ વૈશાખ માસની અસહ્ય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય માટે ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવામાં આવે છે. આ ચંદનના વાઘા એરકન્ડીશન કરતાં પણ વધુ ભગવાનને ઠંડક એટલે કે, શીતળતા આપે છે.

વૈશાખ સુદ -ત્રીજ એટલે અખાત્રીજ જેને અક્ષયતૃતીયા કહેવાય છે. તે અંગે માહિતી આપતા શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,

  • વૈશાખ સુદ – ત્રીજ ને અક્ષયતૃતીયા કહેવામાં આવે છે. આ દિવસે અક્ષત્‌ કહેતાં ચોખાથી ભગવાનનું – પૂજન કરવામાં આવે છે.
  • આ દિવસે પરશુરામ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું….
  • મહાભારતનું યુદ્ધ આ દિવસે પુર્ણ થયું હતું…
  • દ્રાપરયુગનું સમાપન આ દિવસે થયું હતું.
  • વૈષ્ણવધર્મમાં વૃંદાવનમાં બાંકે બિહારીના દર્શન આજ દિવસે થાય છે.
  • નાથદ્વારામાં શ્રીનાથજી પ્રભુનું સ્વરુપ વલ્લભાચાર્યજીએ ગિરીરાજ પર આજ દિવસે પધરાવ્યું હતું.
  • સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ચંદનના વાઘા ધરાવાનો પ્રારંભ કરવામાં આવે છે.
  • જગન્નાથપુરી અને અમદાવાદમાં રથયાત્રા જે યોજાય છે તેના રથોના નિર્માણનું કાર્ય આ જ દિવસે પ્રારંભ થાય છે.
  • આ દિવસ વણજોયા મુહુર્તનો કહેવાય છે. શુભકાર્યો વગર મુહુર્તે કરવામાં આવે છે.આ દિવસે વર્ષ દરમ્યાનનાં સૌથી વધુ લગ્નો થાય છે.
  • આ દિવસે સોના – ચાંદીની ખરીદી પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે.
  • સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

TejGujarati