10જુલાઇ, તબીલીસી- ભારત અને જ્યોર્જિયા વચ્ચેના સંબંધોને એક નવી દિશા તરફ લઇ જવા એક ઐતિહાસિક કાર્યક્રમમાં ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે સેન્ટ. ક્વિન કેટેવનના પવિત્ર અવશેષો જ્યોર્જિયાની સરકારને આપ્યા હતા. ડો. અસ જયશંકર 9 જુલાઇએ જ્યોર્જિયાની રાજધાની તબલીસી પહોંચ્યા હતા.
આ પ્રસંગે જ્યોર્જિયાની સરકાર દ્વારા ભવ્ય સમારોહનું આયોજન કરાવ્યું હતું. ડો. એસ જયશંકરે એરપોર્ટ પર સેન્ટ. ક્વિન કેટેવનના પવિત્ર અવશેષો જ્યોર્જિયાના લોકોને આપ્યા હતા જ્યાં ત્યાંના સંતો મહંતો અને જ્યોર્જિયાના વડાપ્રધાન એચ.ઇ. ઇર્કલીગરીબશ્વિલી પણ હાજર હતા.
આ સમારોહ અંગે વિદેશ મંત્રી એસ.જયશંકરે ટ્વિટ કર્યું- તબલીસીમાં વિદેશમંત્રી ડી ઝલકલીઆની દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામા આવ્યું જ્યાં સેન્ટ. ક્વિન કેટેવનના પવિત્ર અવશેષો જ્યોર્જિયાના લોકોને સુપરત કરવામા આવ્યા હતા.
સેન્ટ. ક્વિન કેટેવન 17મી સદીના જ્યોર્જિયાના રાણી હતા જેમણે શહીદી વહોરી હતી અને ખ્રિસ્તી બહુમતિ ધરાવતા આ દેશમાં તેઓ સન્માનનીય સ્થાન ધરાવે છે. 2005માં ગોવામાં તેમના અવશેષો મળ્યા હતા જેની ખરાઇ પોર્ટુગીઝ રેકોર્ડના આધારે કરવામા આવી હતી. એવું માનવામા આવે છે કે 1627માં આ અવશેષો ગોવામા લાવીને સેન્ટ ઓગસ્ટીન કોમપ્લેક્સમાં લાવવામા આવ્યા હતા. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી, હૈદરાબાદ દ્વારા આ અવશેષોની ખરાઇ કરવામા આવી હતી
2017માં જ્યોર્જિયાની સરકારની વિનંતિ પ્રમાણે, ભારતે આ અવશેષોનું એક વર્ષ માટે જ્યોર્જિયાના અલગ અલગ ચર્ચમાં પ્રદર્શન યોજવામા આવ્યું હતું. ત્યારબાદ આ અવશેષોને કાયમી જ્યોર્જિયા લાવવાની માંગણી કરવામા આવી હતી જેમાં તેનો ઇતિહાસ અને જ્યોર્જિયાના લોકોની ધાર્મિક અને આધ્યાત્મિક લાગણીઓ કેવી રીતે જોડાયેલી છે તેની વાત કરવામા આવી હતી. આ વિનંતિ બાદ ભારત સરકારે આ અવશેષો ભેટમાં આપવાનું નક્કી કર્યું હતું.
વિદેશ મંત્રી બે દિવસના જ્યોર્જિયાના પ્રવાસે છે જ્યાં તેમના સમકક્ષ મંત્રી અને સરકારના વરિષ્ઠ મહાનુભાવે સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. આ પ્રવાસ એટલા માટે પણ અગત્યનો છે કારણ કે સોવિયત યુનિયનમાંથી 1991માં અલગ થયા બાદ પહેલી વખત ભારતના વિદેશ મંત્રી જ્યોર્જિયાના પ્રવાસે છે.