મહાત્મા ગાંધીજી એક વિરાટ પુરુષ. એમણે સમગ્ર માનવજાતની ઉત્તમ સેવા કરી છે. વિશ્વમાં આજે પણ અનેક સંસ્થાઓ અને સંવેદના સભર વ્યક્તિઓ એમણે પ્રબોધેલા માર્ગે લોકસેવાનું કાર્ય કરે છે. મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં છેક ઊંડાણના જંગલ વિસ્તારોમાં ગાંધીજીના વિચારોથી પ્રેરિત ‘શોધ’ સંસ્થા કાર્યરત છે. નાનપણથી જ ગાંધી વિચારનાં રંગમાં રંગાયેલા અને વૈશ્વિક ખ્યાતિ મેળવી ચૂકેલા ડો.અભય બંગ એ સંસ્થાના પ્રણેતા છે. અત્યન્ત દુષ્કર પરિસ્થિતિમાં જીવન ગુજારતા આદિવાસી લોકો માટે આ સંસ્થા કાર્યરત છે. કોરોનાના પ્રકોપથી એ વિસ્તારના ભાઈ-બહેનો પણ બાકાત નથી.
પૂજ્ય મોરારિબાપુ દ્વારા શ્રી હનુમાનજીની પ્રસાદી રૂપે શ્રી. ચિત્રકૂટધામ ટ્રસ્ટ-તલગાજરડા તરફથી મહારાષ્ટ્રનાં નક્સલ પ્રભાવિત અને ઉપેક્ષિત વિસ્તારના ગરીબ અને વંચિત લોકો માટે કાર્ય કરતી ‘શોધ’ સંસ્થાને રૂપિયા એક લાખની સહાય મોકલવામાં આવી છે.