ભારતીય સમાજમાં મોટો વર્ગ અસ્પૃશ્યતા નાં અમાનવીય અત્યાચાર આવરણ હેઠળ અનેક વર્ષોથી જીવન વ્યતિત કરવા માટે મજબુર હતો. અનેક વર્ષોથી ચાલતાં આ અધિકાર હનન ને, અપમાન ને, પશુ કરતાં બદતર જીવનને અસ્પૃશ્યો એ નાછુટકે કે અસહાય હોવાથી કે પછી વિરોધ કરવાથી અત્યાચારો નું પ્રમાણ વધી જશે એવાં ડર થી અથવા બીજાં ગમે તે કારણો હશે તેનાથી પરંતુ નાછુટકે સ્વીકારી જ લીધું હતું.
ઉપરોક્ત સ્થિતિ જ્યારે સમાજનાં મોટાભાગના લોકો ની હતી ત્યારે અસ્પૃશ્યો નાં માનવીય અધિકારો નાં પુનઃસ્થાપન માટે, એમનાં આર્થિક, સામાજિક, ધાર્મિક, રાજકીય, શૈક્ષણિક ઉત્થાન નાં પ્રયાસો પણ થયાં હતાં જ પરંતુ કોઈ ને કોઈ કારણોસર એ પ્રયાસો ને સમાજનાં સ્પૃશ્ય વર્ગોમાં સ્વીકૃતિ મળી નહીં અને લગભગ દરેક પ્રયત્નો બાદ પણ અસ્પૃશ્યતા અને જાતિવાદી ભેદભાવનું અમાનવીય દુષણ પોતાનો પ્રભાવ જમાવી રાખવામાં સફળ થતું રહ્યું.
આ દરમિયાન સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન દેશનાં પ્રત્યેક નાગરિક માં દેશભક્તિ અને ગુલામી વિરૂદ્ધ નાં વિચારો થી આકર્ષિત થઇ રહ્યો હતો ત્યારે દેશભક્તિ અને દેશનાં જ નાગરિકો નાં માનવીય અધિકારો નું હનન કરતી માન્યતાઓ, પ્રથાઓ જેવાં બે વિરોધી પ્રવાહ સાથે ન જ ચાલી શકે એવી લાગણી સ્વતંત્રતા સંગ્રામ નાં શિર્ષસ્થ નેતૃત્વ જેવાં ગાંધીજી અનેવીર સાવરકર નાં મનમાં ઊભી હતી.
અસ્પૃશ્યતા અને જાતિવાદી ભેદભાવ જેવાં અમાનવીય, અન્યાયકર્તા માન્યતાઓ, પ્રથાઓ ને દૂર કરવા માટે રાજકીય ક્ષેત્ર પણ સક્રિય થવાની કલ્પના પણ અસ્પૃશ્યોનાં ભાગ્યને ઊઘડવાની આશા નાં નવાં કીરણ સમાન જ હતી.
ડૉ. આંબેડકર જ્યાં અવિરતપણે જાતિવાદી ભેદભાવ અને અસ્પૃશ્યતા વિરૂદ્ધ કાર્યવાહી કરતાં જ હતાં ત્યારે 1924 માં જ જેલવાસથી મુક્ત થયાં બાદ ગાંધીજી તથા વીર સાવરકરે સામાજિક, આર્થિક, શૈક્ષણિક રીતે દારૂણ અપમાનજનક સ્થિતિ માં જીવતાં વર્ગોના ઉત્કર્ષ માટે કાર્ય કરવાની શરૂઆત કરી. અલબત્ત, વીર સાવરકર પોતાનાં જેલવાસ પહેલાથી જ આ કાર્યમાં જોતરાયેલા જ હતાં. જાતિવાદી ભેદભાવ નાં રોગનું નિદાન અને સારવાર કરવાની ત્રણેય મહાનુભાવો ની નીતિ, રીતિ, પદ્ધતિ, માન્યતા, અભિગમ કેવાં હતાં ?
ગાંધીજી નો અભિગમ :
સૌપ્રથમ ગાંધીજી નાં પ્રયત્નો નાં પાયામાં તેમનાં વિચાર, પદ્ધતિ તથા અભિગમ તરફ દ્રષ્ટિ કરવી જોઈએ.
ગાંધીજી સ્વયં જાતિ પ્રથા નાં પ્રખર હિમાયતી અને સમર્થક હતાં. ઉપરાંત ગાંધીજી ચાતુર્વર્ણવ્યવસ્થા ને પણ પોતાના વિચારો થી સમર્થન આપતાં દેખાતાં હતાં. ગાંધીજી જાતિ વ્યવસ્થા ને અક્ષુણ્ણ રીતે જાળવી રાખીને જ અસ્પૃશ્યતા, જાતિવાદી ભેદભાવ નાં અમાનવીય, અન્યાયી કલંક ને દુર કરવાની નેમ ધરાવતા હતાં. ગાંધીજી ને જો માનવતાવાદી ગણીએ તો તેમની લાગણી ચોક્કસ અસ્પૃશ્યતા વિરૂદ્ધ તથા સહાનુભૂતિ અનેક વર્ષોથી બળપૂર્વક કે ધર્મનાં ઓઠાં હેઠળ દબાવી દેવાયેલા, અસ્પૃશ્ય બનાવી, ગણાવી લેવાયેલા સમૂહો પ્રતિ હતી. ગાંધીજી અસ્પૃશ્યોને તેમની અમાનવીય, અપમાનિત, દારૂણ સ્થિતિમાંથી બહાર લાવવાનાં સમર્થન માં હતાં અને કાર્યો ને આકાર આપવામાં લાગી ગયાં હતાં. આ જોતાં એવું લાગવું, ફલિત થવું સ્વાભાવિક જ હતું કે સવર્ણ હિંદુ સમાજ દ્વારા સદીઓથી પીડાતાં રહેલાં અસ્પૃશ્યો તથા અસ્પૃશ્યતા જેવાં અમાનવીય અન્યાયકર્તા વ્યવહાર, વ્યવસ્થા પ્રતિ તેમની સહાનુભૂતિ એક સવર્ણ હિંદુ નાં વૈચારિક અભિગમ જેવી એકલે કે “ઉપકારક” ની હતી.
ગાંધીજી પોતાનાં જાતિવાદી ભેદભાવ, અસ્પૃશ્યતા વિરૂદ્ધ દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્ય વર્ગોના ઉત્કર્ષ, ઉત્થાનની જે પ્રવૃત્તિઓ આદરી તેમાં એક બાબતથી તેઓ સતત સાવચેતી રાખવાની નીતિ અપનાવી જેમાં તેમનાં આ કાર્યથી તેમનાં રૂઢિચુસ્ત મુડીપતિઓની લાગણીઓ ને ઠેસ ન પહોંચે, નુકશાનકારક નાં નીવડે. ગાંધીજી નો હેતુ એવો નહોતો દેખાતો કે હિંદુ સમાજને નવપલ્લવિત કરી માન્યતા આપવી. ગાંધીજી વિશ્વ સમક્ષ એક અદના શિક્ષક ગણાતાં રહેલાં હતાં. સદીઓથી ઉપેક્ષા પામેલાં, અસ્પૃશ્યતા અને જાતિવાદી ભેદભાવ નાં અમાનવીય, અન્યાયી અત્યાચારો મુંગા મોઢે સહન કરતાં રહીને પણ પોતાની હિંદુ ઓળખ જાળવી રાખનારા આ વર્ગોને ભયનું વાતાવરણ ઉભું કરી, ધમકીઓ, લોભ લાલચ આપી ને ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્માંતરણ પ્રત્યે ગાંધીજીએ નાં તો અંગુલિનિર્દેશ કર્યો અને નાં કદી વિરોધ નો હરફ ઉચ્ચાર્યો.
આમ જોતાં એવું કહેવું યોગ્ય ગણી શકાય કે પછી ખોટું તો નહીં જ કહેવાય કે ગાંધીજી નાં દબાયેલા, કચડાયેલા અસ્પૃશ્ય વર્ગોના ઉત્કર્ષ, ઉત્થાન કરવાનાં પ્રયાસો અને પદ્ધતિ અસરકારક હોવાને બદલે પ્રચારાતમ્ક વધારે હતી.
ગાંધીજી નાં દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્ય વર્ગોના ઉત્કર્ષ, ઉત્થાન માટે ની નીતિ, રીતિ, પદ્ધતિ અને માન્યતાઓ, અભિગમ જોયાં બાદ વીર સાવરકર નાં વિચારો અને કાર્ય પ્રત્યે દ્રષ્ટિપાત કરવો જોઈએ.
ક્રમશઃ
?️ દેવેન્દ્ર કુમાર