એની અસર જો બેયનાં હૈયે લાગી નથી,
તો માનજો કે પ્રેમની એ માંદગી નથી…
ઊડી ન જાય રંગ મહોબ્બતતો ઓ હ્રદય,
એનામાં પહેલાં જેવી હવે સાદગી નથી…
એના ગયા પછી હું નિખાલસ બની ગયો,
મારા જીવનમાં કાંઇ હવે ખાનગી નથી…
જે રીતે છેતરું છું મને તારા નામ પર,
એ રીતે મારી જાતને તેં પણ ઠગી નથી…
ઓ પ્રેમ ચાલ રૂપના પરદાય ચીરીએ,
ખુદનાં જ વસ્ત્રફાડ એ દિવાનગી નથી…
દુનિયાનો ખ્યાલ રાખી ખુદાને નમો નહીં,
મસ્તકનો બોજ છે એ કોઇ બંદગી નથી…
આમ જ હસી ન કાઢ હવે મારી વાતને,
આ દિલનું દર્દ છે, આ કોઇ દિલ્લગી નથી…
જોઉં છું એમ બહારથી હું ખુલ્લાં દ્રારને,
અંદર જવાની જાણે કે પરવાનગી નથી…
માન્યું કે પ્રેમ પાપ છે કિન્તુ પવિત્ર પાપ,
બદનામી એમાં હોય છે, શરમિંદગી નથી…
બેફામ કાં રડે છે બધાં મારા મોત પર?
ક્યાં જીંદગી હતી કે હવે જીંદગી નથી?
દિલમાં હજી ઘણાંય તમન્નાનાં ફૂલ છે,
કિન્તુ પ્રથમના જેવી હવે તાજગી નથી.
*– બરકત વીરાણી ‘બેફામ’*