દેશના 23 રાજ્યોમાં 9 વર્ષ સુધી હજારો કિલોમીટરની યાત્રા કરી આત્મકલ્યાણ, સમાજ ઉત્થાન માટે લોકોને સદભાવના, નૈતિકતાનો બોધ આપી વ્યસન મુક્ત કર્યા
આચાર્યશ્રીના એક વર્ષના પ્રવાસને અણુવ્રત યાત્રા તરીકે ઉજવવાનો પ્રસ્તાવ છે.
આચાર્યશ્રી મહાશ્રમણજીના સક્ષમ નેતૃત્વ હેઠળ 800 સાધુ-સાધ્વીઓ, 40,000થી વધુ યુવા કાર્યકરો, 60,000થી વધુ મહિલા કાર્યકરો અને લાખો અનુયાયીઓ સામાજીક ઉત્થાનના કાર્યમાં જોડાયેલા રહે છે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી મહાશ્રમણજી જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના અગિયારમા આચાર્ય છે. જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘની સ્થાપના લગભગ 262 વર્ષ પહેલાં થઈ હતી. આચાર્યશ્રી મહાશ્રમણજી ગ્રામ્ય અને શહેરી લોકો સાથે પદયાત્રા દરમિયાન સીધો સંપર્ક કરે છે. તેમના જીવનના 60મા વર્ષમાં પણ તેઓ પદયાત્રા ચાલું જ રાખે છે.
પરમ પૂજ્ય આચાર્ય શ્રી મહાશ્રમણજીએ 9 નવેમ્બર 2014ના રોજ ભારતની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પરથી અહિંસાનો સંદેશો જન જન સુધી પહોંચાડવા માટે આ યાત્રા શરૂ કરી હતી. 55, 000થી વધુ કિલોમીટરની યાત્રા બાદ તેઓના પાવન ચરણો અમદાવાદની ભૂમી પર પડી રહ્યા છે. લોકોને દેશભરમાં આત્મકલ્યાણ અને સમાજ ઉત્થાન માટે અહિંસાનો સંદેશો આપ્યો છે તેનો લાભ અમદાવાદ શહેરના લોકોને પણ મળશે. આત્મકલ્યાણ અને સમાજ ઉત્થાન માટેની યાત્રા ગુજરાતમાં બનાસકાંઠાથી શરુ કરી હતી.
અહિંસા યાત્રા દરમિયાન, આચાર્યશ્રીએ ગુજરાત પહેલા 2 દેશ, ભારતના 23 રાજ્યોની મુલાકાત લીધી છે. જેમાં દિલ્હીથી ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર, મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, પુડુચેરી, તેલંગાણા, કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ તથા નેપાળ અને ભુતાનમાં 55,000 હજારથી વધુ કિલોમીટરની પદયાત્રા કરી ચૂક્યા છે. આચાર્યશ્રીએ તેમની સાત વર્ષની પદયાત્રા દરમિયાન હજારો ગામડાઓ, નગરો અને શહેરોના કરોડો લોકો સાથે સીધો સંપર્ક કર્યો છે. વિવિધ જાતિ, વર્ગ વગેરેના લાખો લોકોએ સદભાવના, નૈતિકતા અને વ્યસનમુક્તિના વ્રત સ્વીકાર્યા અને તેમના જીવનમાં સુધારો કર્યો છે. અત્યારના સમયમાં યુથને જીવનમાં સાચો માર્ગ બતાવવાનું ભગીરથ કાર્ય આચાર્યશ્રી કરી રહ્યા છે.